Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : In case of cyber fraud, you will no longer have to face the pressure of the bank or the police, you will get your money back sitting at home

VIDEO: Tech News / સાયબર ઠગાઈના કિસ્સામાં હવે બેંક કે પોલીસના ધક્કા નહીં ખાવા પડે, ઘરે બેઠા જ પાછા મળશે પૈસા, જાણો રીત

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સાયબર ગુનાનો ભોગ બનેલા લોકો માટે કેન્દ્ર સરકારે એક મોટી સુવિધા શરૂ કરી છે. હવે પીડિતોએ પોતાના ફસાયેલા પૈસા પાછા મેળવવા માટે બેંક અને સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ રાષ્ટ્રીય સાયબર અપરાધ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર નવું Money Restoration Module (MRM) લોન્ચ કર્યું છે. આ સુવિધા દ્વારા નાગરિકો પોતાના ઘરેથી જ ઓનલાઇન રિફંડ માટે વિનંતી કરી શકશે.

App Store

કયા લોકોને મળશે આ સુવિધાનો લાભ?

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સુવિધા માત્ર એવા પીડિતો માટે જ ઉપલબ્ધ છે જેમણે સાયબર ઠગાઈની ફરિયાદ તરત જ 1930 હેલ્પલાઈન અથવા NCRP પોર્ટલ પર નોંધાવી હોય અને તેમની પાસે 14 આંકડાનો રજિસ્ટર્ડ એક્નોલેજમેન્ટ નંબર (પહોંચ નંબર) ઉપલબ્ધ હોય. આ ઉપરાંત, આ મોડ્યુલ માત્ર એવા કિસ્સાઓમાં જ લાગુ થશે જ્યાં ઠગોના બેંક ખાતામાં રહેલી રકમને સફળતાપૂર્વક ફ્રીઝ (Held) કરી દેવામાં આવી હોય. જો ગુનેગારો ખાતામાંથી રકમ પહેલાથી જ ઉપાડી ચૂક્યા હોય અથવા તેને અન્યત્ર ટ્રાન્સફર કરી ચૂક્યા હોય, તો આ પોર્ટલ દ્વારા રિફંડ મેળવવું શક્ય બનશે નહીં.

રિફંડ પ્રક્રિયાને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે

પૈસાની રકમના આધારે રિફંડ પ્રક્રિયાને ત્રણ અલગ-અલગ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે:

પ્રથમ શ્રેણી: આમાં એવા કિસ્સાઓનો સમાવેશ થાય છે જ્યાં કોઈ એક બેંક ખાતામાં ફ્રીઝ કરવામાં આવેલી રકમ 50 હજાર રૂપિયા સુધીની છે. આવા કિસ્સાઓમાં એફઆઈઆર (FIR) કે કોર્ટના આદેશની જરૂર નહીં પડે. પોલીસ રિપોર્ટ અને ઈન્ડેમ્નિટી બોન્ડ (Indemnity Bond) ના આધારે સીધું રિફંડ કરવામાં આવશે.

બીજી શ્રેણી: આ એવા કિસ્સાઓ છે જ્યાં કુલ ફ્રીઝ થયેલી રકમ 50 હજાર રૂપિયાથી વધુ છે, પરંતુ કોઈ પણ એક બેંક ખાતામાં આ રકમ 50 હજાર રૂપિયાથી વધુ નથી. આવા કિસ્સાઓમાં પણ FIR કે કોર્ટના આદેશની જરૂર રહેશે નહીં અને પોલીસ રિપોર્ટના આધારે રિફંડ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

ત્રીજી શ્રેણી: આમાં એવા કિસ્સાઓ આવે છે જ્યાં કોઈ એક બેંક ખાતામાં ફ્રીઝ થયેલી રકમ 50 હજાર રૂપિયાથી વધુ છે. આવા કિસ્સાઓમાં નિયમો અનુસાર FIR નોંધાવવી ફરજિયાત રહેશે. FIR નોંધાયા બાદ આગળની તમામ પ્રક્રિયા MRM પોર્ટલ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

આ રીતે કરો ઓનલાઇન અરજી

રિફંડ માટે અરજી કરવા માટે પીડિતોએ સત્તાવાર પોર્ટલ (https://mrm-ncrp.mha.gov.in/) પર જઈને Citizen Login વિકલ્પ દ્વારા લોગિન કરવાનું રહેશે. આ માટે એ જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે જે મૂળ NCRP ફરિયાદમાં નોંધાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ “Raise Refund Request” વિકલ્પ પસંદ કરીને 14 આંકડાની ફરિયાદ આઈડી (Complaint ID) દાખલ કરવાની રહેશે. વેરિફિકેશન (સત્યાપન) થયા પછી, ફ્રીઝ થયેલી રકમ સ્ક્રીન પર દેખાશે. ત્યારબાદ અરજદારે પોતાનું પાન કાર્ડ (PAN Card) અપલોડ કરવાનું રહેશે અને તે બેંક ખાતાની વિગતો આપવાની રહેશે જેમાં તેઓ રિફંડ મેળવવા માંગે છે. ડિક્લેરેશન (ઘોષણા પત્ર) સ્વીકારીને અરજી સબમિટ કર્યા પછી એક યુનિક રિકવેસ્ટ આઈડી (Unique Request ID) જનરેટ થશે, જેનાથી અરજીની સ્થિતિ (Status) ટ્રેક કરી શકાશે.

પોલીસ અને બેંક મળીને પ્રક્રિયા પૂર્ણ કરશે

પીડિત દ્વારા અરજી સબમિટ કર્યા પછી, સંબંધિત પોલીસ ટીમ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 106(3) હેઠળ જરૂરી ઈન્ડેમ્નિટી બોન્ડ અથવા નોટિસ પોર્ટલ પર અપલોડ કરશે. ત્યારબાદ સંબંધિત બેંક ફ્રીઝ કરાયેલી રકમ સીધી પીડિતના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેશે.

ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે મફત, સુરક્ષિત અને પારદર્શક છે. રિફંડ અપાવવાના નામે કોઈ પણ વ્યક્તિને પૈસા ન આપો. જો અરજી ફોર્મ ભરવામાં કોઈ તકનીકી સમસ્યા આવે, તો નજીકના પોલીસ સ્ટેશન અથવા જિલ્લા સાયબર સેલની મફત મદદ લઈ શકાય છે.