VIDEO: Tech News / ઓનલાઈન છેતરપિંડી રોકવા RBI લાવશે ‘કિલ સ્વિચ’ સુવિધા, એક ક્લિક પર અટકશે ફ્રોડ!
દેશમાં દરરોજ ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રોજ કોઈને કોઈ વ્યક્તિને ‘ડિજિટલ અરેસ્ટ’ (Digital Arrest) કરવામાં આવી રહી છે, અથવા તો અન્ય કોઈ રીતે તેમના બેંક એકાઉન્ટ ખાલી કરવામાં આવી રહ્યા છે. ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ જેટલો વધી રહ્યો છે, તેની સાથે ઓનલાઈન છેતરપિંડીના કેસો પણ એટલી જ ઝડપથી વધી રહ્યા છે.
આવી સ્થિતિમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) ગ્રાહકોની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે એક નવા ‘કિલ સ્વિચ’ (Kill Switch) ફીચર પર વિચાર કરી રહી છે. આ સુવિધા કોઈ સંભવિત ડિજિટલ ફ્રોડની આશંકા કે શંકા થવા પર યુઝરને તેના બેંક ખાતામાંથી થતા તમામ નાણાકીય વ્યવહારો (Financial Transactions) તાત્કાલિક રોકવાની સુવિધા આપી શકે છે. આ સિવાય, RBI તમામ ડિજિટલ પેમેન્ટ માધ્યમો માટે ‘સ્વિચ ઓન’ અને ‘સ્વિચ ઓફ’ સુવિધા લાવવાની શક્યતાઓ પણ ચકાસી રહી છે.
શું છે આ ‘કિલ સ્વિચ’ સુવિધા?
‘કિલ સ્વિચ’ એક એવી સિસ્ટમ છે, જેની મદદથી કોઈ ડિવાઈસ, એકાઉન્ટ, સેવા કે સિસ્ટમને કટોકટીની સ્થિતિમાં (Emergency) તાત્કાલિક બંધ, બ્લોક કે નિષ્ક્રિય કરી શકાય છે. RBI અને સરકાર જે પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે, તેના હેઠળ બેંક અથવા પેમેન્ટ એપ્સમાં એક ઈમરજન્સી બટન આપવામાં આવી શકે છે. જો કોઈ ગ્રાહકને એવું લાગે કે તે સાયબર ઠગોના નિશાના પર છે, તો તે આ બટન દબાવીને પોતાના ખાતામાંથી થતા તમામ બેંકિંગ ટ્રાન્ઝેક્શનને તરત જ રોકી શકશે.
કેમ અનુભવાઈ આની જરૂરિયાત?
તાજેતરના વર્ષોમાં ‘ડિજિટલ અરેસ્ટ’ જેવા સાયબર ફ્રોડના કેસોમાં ભારે વધારો થયો છે. આવા કિસ્સાઓમાં ઠગો પોતાને પોલીસ, સીબીઆઈ (CBI) કે અન્ય તપાસ એજન્સીઓના અધિકારી ગણાવીને વીડિયો કોલ કરે છે અને એવો દાવો કરે છે કે પીડિત વ્યક્તિ કોઈ ગંભીર ગુનાની તપાસના દાયરામાં છે.
ઠગો લીક થયેલા પર્સનલ ડેટાનો ઉપયોગ કરીને પોતાની વાતને સાચી અને વિશ્વાસપાત્ર બનાવે છે તથા નકલી ઓળખપત્રો અને અરેસ્ટ વોરંટ બતાવીને લોકોને કલાકો સુધી ડરાવે છે. ત્યારબાદ, ધરપકડથી બચવાના નામે મોટી રકમ ટ્રાન્સફર કરવાનું દબાણ કરવામાં આવે છે.
ડિજિટલ અરેસ્ટ કૌભાંડોમાં હજારો કરોડનું નુકસાન
અહેવાલો અનુસાર, દેશભરમાં ડિજિટલ અરેસ્ટ સાથે જોડાયેલા સાયબર ફ્રોડમાં લોકોને અંદાજે 3,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારતની સુપ્રીમ કોર્ટે પણ આ મામલે સુઓમોટો (સ્વતઃ સંજ્ઞાન) લીધું હતું. સરકાર અને નિયમનકારી સંસ્થાઓ (Regulatory bodies) દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવતું હોવા છતાં આ પ્રકારની છેતરપિંડી પૂરી રીતે અટકી શકી નથી. આવી સ્થિતિમાં ‘કિલ સ્વિચ’ ફીચર લોકોને ત્વરિત સુરક્ષા પુરી પાડી શકે છે.
તમામ ડિજિટલ પેમેન્ટ માટે આવશે ઓન/ઓફ ફીચર
હાલમાં બેંકો પોતાના કાર્ડ યુઝર્સને ડોમેસ્ટિક (ઘરેલું) અને ઈન્ટરનેશનલ (આંતરરાષ્ટ્રીય) ટ્રાન્ઝેક્શનને ઓન કે ઓફ કરવાની સુવિધા આપે છે. આનાથી ગ્રાહકો જરૂર પડે ત્યારે જ કાર્ડ સેવાઓને એક્ટિવ રાખે છે અને સુરક્ષાનું જોખમ ઘટી જાય છે. RBI હવે આ જ પ્રકારની સુવિધાને UPI, ઇન્ટરનેટ બેંકિંગ અને અન્ય ઇલેક્ટ્રોનિક પેમેન્ટ માધ્યમો સુધી લંબાવવા પર વિચાર કરી રહી છે. આનાથી ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ ડિજિટલ પેમેન્ટ સેવાઓને ચાલુ કે બંધ કરી શકશે.

