VIDEO: એંથ્રોપિકના પૂર્વ વૈજ્ઞાનિકનો ધડાકો: AI બની શકે છે જીવલેણ; જોખમ વધતાં ન્યૂયોર્કની શાળાઓમાં પ્રતિબંધ
હાલ દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇની બોલબાલા છે, એવામાં એક મોટો ઘટસ્ફોટ થયો છે જેમાં દાવો કરાયો છે કે એઆઇ જીવલેણ સાબીત થઇ શકે છે, અને દસકામાં એટલુ જોખમી થઇ જશે કે બહુ જ મોટી સંખ્યામાં લોકોનો જીવ પણ લઇ શકે છે. એઆઇ પર રિસર્ચ કરી ચુકેલા જૈકબ કોક્સને એંથ્રોપિકમાં ત્રણ વર્ષ સુધી કામ કર્યા બાદ આખરે રાજીનામુ આપી દીધુ, જોકે સાથે જ એઆઇના સૌથી મોટા ખતરાની ચેતવણી પર જારી કરી છે.
ટોચની એઆઇ કંપની એંથ્રોપિકના રિસર્ચર જેકોબ કોક્સને મોટો ખુલાસો કર્યો છે. ત્રણ વર્ષ સુધી એઆઇ કંપનીમાં કામ કર્યા બાદ રાજીનામુ આપનારા જેકોબે સમગ્ર વિશ્વને એઆઇને લઇને ચેતવણી આપી છે. એઆઇ વૈજ્ઞાાનિક જેકોબે કહ્યું છે કે એઆઇ બનાવનારા ખુદ એ વાતનો સ્વીકાર કરે છે કે આ દસકાના અંત સુધીમાં એટલે કે વર્ષ 2030 સુધીમાં એઆઇ પૃથ્વી પરથી તમામ લોકોનો નાશ કરી શકે છે. એઆઇ કંપનીના અધિકારીઓ આ મુદ્દે મીડિયા સમક્ષ અલગ જ નિવેદનો આપી રહ્યા છે જ્યારે અંગત રીતે તેઓ આ ખતરાની પણ ચર્ચા કરી રહ્યા છે.
વધુ વિગતો આપતા જેકોેબે કહ્યું હતું કે ટૂંક સમયમાં એવી સુપરહ્યૂમન સિસ્ટમ આવશે કે જે દુનિયાની કોઇ પણ સિસ્ટમને હેક કરી શકશે. કોઇ પણ ક્ષેત્રમાં ગમે ત્યારે ક્રાંતિ લાવી શકે અથવા તો શક્તિઓ અને ધરતીના સંસાધનો પર કબજો કરી શકે છે. ઓપનએઆઇ હજુસુધી ખતરાને ઓળખવામાં પાછીપાની કરી રહી છે જ્યારે એંથ્રોપિક આ ખતરાને સમજી શકે છે. એઆઇ લેબ્સમાં જે વૈજ્ઞાાનિકો કામ કરી રહ્યા છે તેમને પણ જેકોબે ચેતવ્યા અને પરિસ્થિતિને ઓળખી જવાની વિનંતી કરી હતી. સોશિયલ મીડિયા એક્સ પર રાજીનામાની જાહેરાત કરતા જેકોબે કહ્યું હતું કે મે આજે કંપની છોડી દીધી, ઓપનએઆઇ અને એથ્રોપિક બન્ને કંપનીમાં કામ કર્યું, એઆઇ કંપનીઓ જવાબદારીથી કામ નથી કરી રહી, માનવીના જીવન સાથે ગેમ્બલિંગ કરી રહી છે.
જેકોબના આ દાવાને બાદમાં એંથ્રોપિક કંપનીએ પણ સમર્થન આપ્યું હતું, કંપનીના એલાઇનમેંટ સાઇન્સ લીડ ઇવાને કહ્યું હતું કે જેકોબ સાચી વાત કરી રહ્યા છે. એઆઇ તમામ માનવીનો ખાતમો કરી શકે છે તે વાતને અમે પણ સ્વીકારીએ છીએ. આવુ થવાની શક્યતાઓ 10 ટકાથી પણ વધુ છે. જેકોબે અગાઉ કહ્યું હતું કે એઆઇ ટેક્નોલોજીની તાકતને હળવાશથી ના લેશો, આ ટેક્નોલોજી સુપરહ્યુમન સિસ્ટમમાં ફેરવાઇ જશે અને કોઇ પણ સિસ્ટમને હેક કરી શકશે. કોઇ પણ ક્ષેત્રમાં રાતોરાત ફેરફારો કરી શકે છે.
એઆઇ બાળકો માટે જોખમી, ન્યૂયોર્કની સ્કૂલોમાં પ્રતિબંધ મુકાશે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇના ખતરા વધી રહ્યા છે તેની સાથે હવે તેના પર પ્રતિબંધો પણ શરૂ થવા લાગ્યા છે. અમેરિકામાં ન્યૂયોર્કની તમામ સરકારી શાળાઓમાં એઆઇના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરાઇ છે. એઆઇ સોફ્ટવેર બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે જોખમકારક સાબિત થઇ શકે છે તેને ધ્યાનમાં રાખીને પ્રતિબંધનો નિર્ણય લેવાયો છે. માત્ર હાઇસ્કૂલોમાં જ એઆઇના ઉપયોગની છૂટ અપાશે જોકે તેમાં પણ કેટલીક મર્યાદાઓ રખાશે. નાના બાળકો સ્કૂલમાં લેપટોપ, ટેબલેટ્સ વગેરેનો ઉપયોગ મર્યાદિત સમય માટે જ કરી શકશે. સ્કૂલોમાં કોઇ પણ પ્રકારના સ્ક્રીન ટાઇમની મર્યાદા 30 થી 45 મિનિટ સુધી જ રખાશે. એઆઇ પર પ્રતિબંધો છ લાખ જેટલા વિદ્યાર્થીઓને આવરી લેશે.

