VIDEO: મોંઘા ગેજેટ સેકન્ડમાં બરબાદ! વીજળીના કડાકા વખતે ભૂલથી પણ આ કામ ન કરતા
સામાન્ય રીતે લોકો એવું માને છે કે આકાશી વીજળી જ્યારે સીધી કોઈના ઘર પર પડે ત્યારે જ નુકસાન થાય છે. પરંતુ હકીકત એ છે કે જો આસપાસના વિસ્તારમાં ક્યાંય પણ વીજળી પડે, તો પણ તેની અસરથી તમારા મોંઘા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ મિનિટોમાં બગડી શકે છે.
વીજળી પડવાથી ગેજેટ્સ કેમ બગડી જાય છે?
જ્યારે આકાશમાંથી વીજળી પડે છે, ત્યારે તેમાંથી ખૂબ જ ભારે માત્રામાં ઉર્જા (ઇલેક્ટ્રિક કરંટ) નીકળે છે. જો આ વીજળી કોઈ વીજળીની લાઇન, ટ્રાન્સફોર્મર, ટેલિફોન લાઇન કે ઇન્ટરનેટ કેબલની નજીક પડે, તો આ લાઇનોમાં સેકન્ડના થોડા ભાગ માટે ખૂબ જ હાઇ-વોલ્ટેજ પેદા થાય છે. ટેકનિકલ ભાષામાં આ સ્થિતિને પાવર સર્જ (Power Surge) કહેવામાં આવે છે.
આ વધારાનો હાઇ-વોલ્ટેજ વાયરો મારફતે ઘર સુધી પહોંચે છે અને તે સમયે પ્લગમાં ભરાવેલા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને ભારે નુકસાન પહોંચાડે છે. આનાથી ડિવાઇસની પાવર સપ્લાય, મધરબોર્ડ, નેટવર્ક પોર્ટ કે ચાર્જિંગ સર્કિટ સંપૂર્ણપણે બળી શકે છે.
કયા ગેજેટ્સને સૌથી વધુ જોખમ હોય છે?
જે ગેજેટ્સ ચોવીસ કલાક વીજળીના સોકેટ કે ઇન્ટરનેટ કેબલ સાથે જોડાયેલા રહે છે, તેમને સૌથી વધુ નુકસાન થાય છે. જેમ કે:
સ્માર્ટ ટીવી અને હોમ થિયેટર
Wi-Fi રાઉટર અને મોડેમ
ડેસ્કટોપ કમ્પ્યુટર અને મોનિટર
ગેમિંગ કન્સોલ અને પ્રિન્ટર
CCTV કેમેરા સિસ્ટમ
જો તમારો સ્માર્ટફોન કે લેપટોપ ચાર્જિંગ પર મુકેલા હોય, તો પાવર સર્જને કારણે તેનું ચાર્જર કે ચાર્જિંગ સર્કિટ પણ બગડી શકે છે. આજકાલના મોર્ડન ડિવાઇસમાં સેફ્ટી ફીચર્સ હોય છે, પરંતુ તે 100% સુરક્ષાની ગેરંટી આપતા નથી.
શું માત્ર સામાન્ય વરસાદથી જ આવું જોખમ રહે છે?
ના, સામાન્ય વરસાદ પડવાથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પાવર સર્જનો કોઈ ખતરો હોતો નથી. આ જોખમ મુખ્યત્વે ત્યારે જ વધે છે જ્યારે ભારે તોફાન સાથે વીજળીના કડાકા-ભડાકા થઈ રહ્યા હોય અથવા આસપાસના વિસ્તારમાં ક્યાંક વીજળી પડી હોય.
પાવર સર્જ (વીજળીના ઝટકા) થી કેવી રીતે બચવું?
૧. પ્લગ અનપ્લગ કરો: જ્યારે બહાર તેજ વીજળીના કડાકા થતા, ત્યારે ઘરમાં જે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કે અપ્લાયન્સિસ (જેમ કે ફ્રિજ, ટીવી, એસી) નું કામ ન હોય, તેને સ્વિચ ઓફ કરીને સોકેટમાંથી તેનો પ્લગ બહાર કાઢી લેવો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે.
૨. સર્જ પ્રોટેક્ટરનો ઉપયોગ: ઘરમાં સારી ક્વોલિટીનું 'સર્જ પ્રોટેક્ટર' (Surge Protector) વાપરવું જોઈએ, જે હાઇ-વોલ્ટેજને રોકવામાં મદદ કરે છે.
૩. UPSનો ઉપયોગ: ડેસ્કટોપ કમ્પ્યુટર કે અન્ય મહત્વના કામના ડિવાઇસ માટે સર્જ પ્રોટેક્શન ફીચર ધરાવતા UPS નો ઉપયોગ કરવો જોઈએ.
૪. ઇન્ટરનેટ કેબલ હટાવો: જો તમારું કમ્પ્યુટર કે વાઇફાઇ રાઉટર ઇથરનેટ (LAN) કેબલથી જોડાયેલું હોય, તો વાવાઝોડા કે વીજળી વખતે તે કેબલ કાઢી નાખવો સમજોદારીભર્યું છે, કારણ કે વીજળીનો ઝટકો નેટવર્ક લાઇન દ્વારા પણ આવી શકે છે.
શું સર્જ પ્રોટેક્ટર દર વખતે બચાવી શકે?
સર્જ પ્રોટેક્ટર ઘણી હદ સુધી સુરક્ષા આપે છે, પરંતુ તે 100% ગેરંટી નથી. જો વીજળી ખૂબ જ શક્તિશાળી હોય કે તમારા ઘરની સાવ નજીક પડી હોય, તો નુકસાન થવાની સંભાવના રહે જ છે. તેથી ખરાબ હવામાનમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને વીજળી અને નેટવર્ક બંને કનેક્શનથી અલગ (Disconnect) કરી દેવા એ જ સૌથી સુરક્ષિત પદ્ધતિ છે.

