શું છે અમેરિકાનું ‘Operation Economic Outcast’? 4 ભારતીય કંપનીઓ, 3 નાગરિકો નિશાન પર, ઈરાન સાથે વેપાર બેન

અમેરિકાએ (US) ઈરાન (Iran) સામે આર્થિક દબાણ વધુ કડક બનાવતા ચાર ભારતીય કંપનીઓ અને ત્રણ ભારતીય નાગરિકો સામે પ્રતિબંધો (Sanctions) જાહેર કર્યા છે. અમેરિકાના આરોપ મુજબ આ કંપનીઓ ઈરાનના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોના વેપાર સાથે સંકળાયેલી હતી. આ કાર્યવાહી અમેરિકાના નવા ‘ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ’ (Operation Economic Outcast) અભિયાનનો ભાગ હોવાનું જણાવાયું છે.
કરોડો ડોલરના ઈરાની તેલ વેપારનો આરોપ
અમેરિકાના વિદેશ વિભાગના જણાવ્યા મુજબ, ભારતની કેટલીક કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાનથી કરોડો ડોલરના પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત અને પરિવહનમાં ભૂમિકા ભજવી હતી. પોર્ટીઝ પાર્ટનર્સ એલએલપી (Portease Partners LLP) પર ભારતમાં ઈરાની પેટ્રોકેમિકલ ઉત્પાદનોના અનેક શિપમેન્ટને સરળ બનાવવાનો આરોપ છે.
સદાશિવા ઓવરસીઝ લિમિટેડ (Sadashiva Overseas Limited) પર ફેબ્રુઆરી 2024થી જૂન 2025 દરમિયાન અંદાજે 6.9 કરોડ ડોલરના ઈરાની પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
તે જ રીતે પીપી સોફ્ટટેક પ્રાઈવેટ લિમિટેડ (PP Softtech Pvt Ltd) પર જાન્યુઆરી 2024થી જૂન 2025 વચ્ચે આશરે 2.5 કરોડ ડોલરના ઈરાની તેલ ઉત્પાદનોની આયાતમાં સંડોવણીનો આરોપ છે.
પ્રાકૃતીઝ ઈન્ફ્રા ઈમ્પેક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (Prakrutees Infra Impex India) પર મે 2023થી ફેબ્રુઆરી 2026 દરમિયાન આશરે 2.5 કરોડ ડોલરના ઈરાની પેટ્રોલિયમ ઉત્પાદનોના વ્યવહારમાં સામેલ હોવાનો અમેરિકાનો દાવો છે.
ત્રણ ભારતીય નાગરિકો પણ પ્રતિબંધિત
કંપનીઓ ઉપરાંત ત્રણ ભારતીય નાગરિકો સામે પણ પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં પોર્ટીઝ પાર્ટનર્સ સાથે જોડાયેલા ઇન્દ્રિસ્મિયા અશરફમિયા શેખ અને હરીશ રામચંદ્ર રંગી તથા પીપી સોફ્ટટેકના ડિરેક્ટર પ્રશાંત ગર્ગનો સમાવેશ થાય છે.
શું છે ‘ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ’?
અમેરિકાના જણાવ્યા અનુસાર, આ અભિયાનનો મુખ્ય હેતુ ઈરાનના નાણાકીય (Financial) અને વેપારી નેટવર્કને નબળું પાડવાનો છે. અમેરિકાનું માનવું છે કે ઈરાનના તેલ અને પેટ્રોકેમિકલ વેપારમાંથી મળતી આવકનો ઉપયોગ તેની સૈન્ય અને અન્ય પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે.
આ કાર્યવાહી હેઠળ માત્ર કંપનીઓ જ નહીં, પરંતુ ઈરાનના તેલ પરિવહન સાથે સંકળાયેલા જહાજો અને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.
ભારત માટે શું અસર થઈ શકે?
ભારતીય કંપનીઓ સામેની કાર્યવાહીથી ઈરાન સાથે વેપાર કરતા અન્ય ઉદ્યોગો પણ સતર્ક થઈ શકે છે. અમેરિકાના પ્રતિબંધોના કારણે આંતરરાષ્ટ્રીય બેન્કિંગ, શિપિંગ અને વેપાર વ્યવહારોમાં મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા રહે છે.
આ કાર્યવાહીથી ભારતના ઈરાન સાથેના વેપાર અને અમેરિકા સાથેના સંબંધો વચ્ચેનું સંતુલન ફરી ચર્ચામાં આવ્યું છે. હવે આગામી સમયમાં અમેરિકાના પ્રતિબંધોનું દાયરું વધુ વિસ્તરે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

