VIDEO : ઈરાન પર ગ્રાઉન્ડ ઓપરેશનની USની તૈયારી, IRGCએ નેવી કમાન્ડર તંગસીરીના મૃત્યુની પુષ્ટી કરી
ઈરાનની રેવોલ્યૂશનરી ગાર્ડ્સ (IRGC) ના નેવી કમાન્ડર અલીરેઝા તંગસીરીના મૃત્યુની પુષ્ટી થઈ ચૂકી છે. IRGCએ એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમને ઈઝરાયલ અને અમેરિકાના હુમલામાં અનેક ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેમની હાલત બગડી ગઈ હતી. ગત અઠવાડિયે જ ઈઝરાયલના ડિફેન્સ મંત્રી ઈઝરાયલ કાત્ઝે કહ્યું હતું કે અમારા હુમલામાં તે માર્યા ગયા છે.
ઈરાન વિરુદ્ધમાં દરરોજ કંઇક નવું થઇ રહ્યું છે. તેહરાન ઝૂકવા તૈયાર નથી ત્યારે અમેરિકા પણ યુદ્ધને ખતમ કરવા તૈયાર દેખાઇ રહ્યું નથી. આ સૌની વચ્ચે મિડલ ઈસ્ટમાં અમેરિકન સૈનિકોની સંખ્યા 50000ને વટાવી ગઈ છે. એક અહેવાલ મુજબ 2500 મરીન અને 2500 નાવિકોના નવા જથ્થાના આગમનથી ઘેરાબંદી મજબૂત થઈ ચૂકી છે. હવે ટ્રમ્પ ગમે ત્યારે આ યુદ્ધને લઇને મોટો નિર્ણય કરી શકે છે જેનાથી ઈરાન સહિત આખી દુનિયામાં અસર દેખાશે.
ઈરાન પર ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી: CENTCOM અને IDF ચીફ વચ્ચે ગુપ્ત બેઠક
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના પ્રમુખ એડમિરલ બ્રેડ કૂપર અને ઈઝરાયેલના IDF ચીફ એયાલ અમીર વચ્ચે એક અત્યંત મહત્ત્વની બેઠક યોજાઈ છે, જેમાં ઈરાન વિરુદ્ધ આગામી સૈન્ય વ્યૂહરચના અને તેના હથિયાર કાર્યક્રમને રોકવા પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. અત્યાર સુધી આ યુદ્ધ માત્ર હવાઈ હુમલાઓ સુધી સીમિત હતું, પરંતુ હવે પેન્ટાગન દ્વારા ઈરાન પર કેટલાક અઠવાડિયા સુધી ચાલી શકે તેવા મોટા 'ગ્રાઉન્ડ ઓપરેશન' (જમીની હુમલા) માટેની યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જો આક્રમક વલણ અપનાવવાનો નિર્ણય કરે, તો અમેરિકન સેના લાંબા સમય સુધી ટકી શકે તેવા જમીની અભિયાન માટે સજ્જ છે. અત્યાર સુધીના ઓપરેશનમાં 900 થી વધુ હુમલાઓ અને ટોચના નેતાઓના મોતના પગલે હવે આ યુદ્ધ વધુ ખતરનાક વળાંક પર પહોંચ્યું હોય તેવું જણાય છે.
કુવૈતમાં પાવર અને પાણીના પ્લાન્ટ પર મિસાઈલ એટેક
અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ અને અમેરિકાના અન્ય ઠેકાણાઓને નિશાન બનાવતા ઈરાની સેનાએ કુવૈતમાં મિસાઈલો ઝીંકી હતી. જેમાં પાવર પ્લાન્ટ તથા વૉટર ડિસેલિનેશન પ્લાન્ટને ગંભીર નુકસાન થયું હતું. આ હુમલામાં એક ભારતીય શ્રમિકનું પણ મોત નીપજ્યું હતું.
ઈસ્લામાબાદમાં યોજાશે શાંતિ મંત્રણા, પાકિસ્તાનનો દાવ
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે દાવો કર્યો હતો કે ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાનું આયોજન થશે. તેમાં મધ્યસ્થી કરનારા દેશો પણ હાજર રહેશે. આ યુદ્ધને કારણે લોકોના રોજગાર અને સામાન્ય જનજીવન પર ગંભીર અસર થઇ છે.

