Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump’s Iran Deal Leaves Israel’s Netanyahu In Tight Spot

ઈરાન-અમેરિકા સમજૂતીથી ફસાયું ઈઝરાયલ, વિરોધ કરે તો અમેરિકા નારાજ અને સ્વીકારે તો ઘરઆંગણે આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાન-અમેરિકા સમજૂતીથી ફસાયું ઈઝરાયલ, વિરોધ કરે તો અમેરિકા નારાજ અને સ્વીકારે તો ઘરઆંગણે આક્રોશ
સોર્સ : GSTV

Iran-USA Deal Trapped Israel: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરારને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની એક મોટી રાજદ્વારી સફળતા ગણાવી રહ્યા છે, પરંતુ આ ડીલના કારણે ઈઝરાયલમાં વિરોધના સૂર તીવ્ર બન્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની આ નિકટતાએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને અત્યંત અસહજ અને નાજુક સ્થિતિમાં લાવીને ઉભા રાખી દીધા છે. એના કારણે નેતન્યાહૂ પર હવે સ્થાનિક રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે એમ બંને તરફથી ભારે દબાણ વધી ગયું છે.

App Store

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની જાહેરાત થતાં જ ઈઝરાયલના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે. આ યુદ્ધને ઈઝરાયલ અત્યાર સુધી પોતાના અસ્તિત્વ માટે અનિવાર્ય લડાઈ ગણાવી રહ્યું હતું, તે જ મોરચે તેના સૌથી મોટા સાથી દેશ અમેરિકાએ એવો રસ્તો પસંદ કર્યો છે જેનાથી નેતન્યાહૂ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હાલત એવી થઈ ગઈ છે કે નેતન્યાહૂ ન તો ખુલ્લેઆમ આ કરારનું સમર્થન કરી શકે છે અને ન તો અમેરિકાની સામે જઈને તેનો વિરોધ કરવાની સ્થિતિમાં છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી થઈ ગઈ છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ કરાર મિડલ ઈસ્ટમાં તણાવ તો ઓછો કરશે જ, પરંતુ તેની સાથે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વ્યાપારી માર્ગોમાં સામેલ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને પણ ફરીથી સંપૂર્ણપણે ખોલી દેશે. આ નિર્ણયથી તેલ અને ગેસની કટોકટીનો સામનો કરી રહેલા વિશ્વના તમામ દેશોને મોટી રાહત મળશે.

કેમ નારાજ છે ઈઝરાયલ?

સમગ્ર વિશ્વ જેને મોટી રાહતના સમાચાર માની રહ્યું છે, તે જ વાત ઈઝરાયલ માટે મોટી આફત સાબિત થઈ રહી છે. ઈઝરાયલના અનેક નેતાઓ અને સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે આ કરારમાં એવા મુખ્ય મુદ્દાઓનો સમાવેશ જ કરવામાં આવ્યો નથી, જેને લઈને ઈઝરાયલે ઈરાન સામે આટલું કડક વલણ અખત્યાર કર્યું હતું.

ઈઝરાયલ શરૂઆતથી જ મુખ્ય ત્રણ માંગણીઓ પર મક્કમ રહ્યું છે:

•    ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવે.

•    ઈરાનના બેલિસ્ટિક મિસાયલ કાર્યક્રમને હંમેશા માટે ખતમ કરવામાં આવે.

•    હિઝબુલ્લાહ, હમાસ અને હૂતી જેવા આતંકવાદી સંગઠનોને ઈરાન તરફથી મળતી આર્થિક અને સૈન્ય મદદ તાત્કાલિક બંધ કરાવાય.

જોકે, સામે આવી રહેલી વિગતો મુજબ, આ યુદ્ધવિરામ કરારના માળખામાં આ મુદ્દાઓ પર કોઈ નક્કર ગેરંટી આપવામાં આવી નથી. આ જ કારણે ઈઝરાયલની અંદર આ ડીલની આકરી ટીકા થઈ રહી છે. એક રિપોર્ટ મુજબ, ઈઝરાયલના પૂર્વ સંરક્ષણ મંત્રી એવિગ્ડોર લિબરમેને તો આ કરારને ‘ઈઝરાયલના દ્રષ્ટિકોણથી એક મોટી તબાહી’ ગણાવી દીધો છે. ઈઝરાયલના મુખ્ય અખબારોએ પણ તેને એક ‘ખરાબ અને નબળી સમજૂતી’ ગણાવી છે.

ટ્રમ્પ અને નેતન્યાહૂના સંબંધોમાં કેમ આવી ખટાશ?

ઈરાન સામેની જંગ અને ત્યારબાદ આ શાંતિ સમજૂતીને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેના સંબંધોમાં ભારે કડવાશ આવી ગઈ છે. એક સમયે તો ટ્રમ્પે નેતન્યાહૂને ‘પાગલ’ સુધી કહી દીધા હતા. વાસ્તવમાં, ટ્રમ્પ લેબનાનમાં ઈઝરાયલ દ્વારા ચલાવવામાં આવી રહેલી સૈન્ય કાર્યવાહીથી સખત નારાજ હતા અને તેમણે નેતન્યાહૂને ફોન પર જોરદાર ફટકાર લગાવી હતી. ટ્રમ્પે ત્યાં સુધી કહી દીધું હતું કે જો અમેરિકાએ મદદ ન કરી હોત, તો નેતન્યાહૂ આજે જેલમાં સડી રહ્યા હોત.

ટ્રમ્પે નેતન્યાહૂ પર નિશાન સાધતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમણે અમેરિકી વહીવટીતંત્રના રાજદ્વારી પ્રયાસો માટે આભારી હોવું જોઈએ. ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “નેતન્યાહૂ ખૂબ જ અઘરા માણસ છે અને સાચું કહું તો તેમણે આ ડીલ માટે અમારા ખૂબ આભારી હોવું જોઈએ, કારણ કે આનાથી ઈઝરાયલને જ ફાયદો થશે.” તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું કે જો ઈરાન પાસે પરમાણુ હથિયાર હોત, તો ઈઝરાયલ તેની સામે બે કલાક પણ ટકી શક્યું ન હોત.

નેતન્યાહૂ માટે કેમ બની ‘ઈધર કુઆં, ઉધર ખાઈ’ જેવી સ્થિતિ?

નેતન્યાહૂની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેમની અત્યાર સુધીની તમામ વ્યૂહરચના ઈરાન પર મહત્તમ દબાણ બનાવવાની રહી છે. જોકે હવે જ્યારે ખુદ અમેરિકાએ જ ઈરાન સાથે હાથ મિલાવી લીધા છે, ત્યારે ઈઝરાયલ પાસે લેબનાનમાં પોતાની સૈન્ય કાર્યવાહી રોકવા સિવાય અન્ય કોઈ વ્યવહારિક વિકલ્પ બચ્યો નથી. બીજી તરફ, જો નેતન્યાહૂ આ અમેરિકા-ઈરાન કરારનો ખુલ્લેઆમ વિરોધ કરે છે, તો તેમનો સીધો સંઘર્ષ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે થશે, જે ઈઝરાયલનું સૌથી મોટું વ્યૂહાત્મક અને સૈન્ય ભાગીદાર છે.

એટલે કે, જો નેતન્યાહૂ આ કરારનો સ્વીકાર કરે છે તો તેમને દેશના આંતરિક રાજકારણમાં ભારે આલોચનાનો સામનો કરવો પડશે અને જો તેઓ આનો વિરોધ કરે છે તો અમેરિકા નારાજ થઈ જશે. આ જ કારણે રાજકીય વિશ્લેષકો અત્યારની પરિસ્થિતિને નેતન્યાહૂ માટે ‘ઈધર કુઆં, ઉધર ખાઈ’ જેવી સ્થિતિ’ ગણાવી રહ્યા છે, જેમાં આગળ વધવું કે પાછા હટવું બંને સરખું જ નુકસાનકારક છે.