કુવૈત હાઈવે પર પૂરઝડપે આવતી ગાડીનો અકસ્માત, 5 ભારતીય શ્રમિકોએ જીવ ગુમાવ્યા, પરિવારોમાં માતમ

નવી દિલ્હી/કુવૈત: કુવૈતના એક હાઈવે પર બુધવારે સાંજે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ભારતના પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ તમામ મૃતકો જમ્મુ-કાશ્મીરના પીર પંજાલ વિસ્તારના રહેવાસી હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે પાંચેય યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એકની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.
ઝડપ અને ટક્કર
પ્રાપ્ત અહેવાલો મુજબ, અકસ્માત ત્યારે થયો જ્યારે પ્રવાસી શ્રમિકોને લઈ જતી એક ગાડી પૂરઝડપે જઈ રહી હતી અને અચાનક કાબૂ ગુમાવતા અન્ય વાહન સાથે અથડાઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
મૃતકોની ઓળખ
મૃતકોમાં ચાર લોકો પૂંચ જિલ્લાના સુરનકોટના હતા, જ્યારે એક વ્યક્તિ રાજોરી જિલ્લાના થન્નામંડીનો રહેવાસી હતો. તેમની ઓળખ નીચે મુજબ થઈ છે:
-
ફરીદ અહમદ (બચ્ચિયાંવાલી, પૂંચ)
-
સરફરાઝ અહમદ (બચ્ચિયાંવાલી, પૂંચ)
-
મોહમ્મદ ખાલિદ (બચ્ચિયાંવાલી, પૂંચ)
-
મુખ્તાર અહમદ (શીન્દરા, પૂંચ)
-
મુમતાઝ રશીદ (થન્નામંડી, રાજોરી)
પરિવારો પર આભ તૂટી પડ્યું
ગુરુવારે સવારે જ્યારે અકસ્માતના સમાચાર તેમના વતન પહોંચ્યા, ત્યારે આખા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રોજગારી માટે વિદેશ ગયેલા યુવાનોના અકાળે અવસાનથી પરિવારોમાં માતમ છવાઈ ગયો છે. ઘાયલ યુવકને કુવૈતની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
સ્થાનિક સત્તાવાળાઓ અને વિદેશ મંત્રાલય હવે મૃતદેહોને વતન લાવવા માટેની પ્રક્રિયામાં લાગી ગયા છે.

