સાઉદી અરબે ઉમરાહના નિયમો બદલ્યા, મલ્ટિપલ-એન્ટ્રી વિઝા અંગે મોટો નિર્ણય

જો તમે ઉમરાહ માટે સાઉદી અરબ જવાનું વિચારી રહ્યા છો અથવા વર્ષમાં એક કરતાં વધુ વખત ઉમરાહ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે એક મહત્ત્વપૂર્ણ અપડેટ છે. સાઉદી અરબના હજ અને ઉમરાહ મંત્રાલયે બહુવિધ-પ્રવેશ (મલ્ટિપલ-એન્ટ્રી) વિઝા અંગેના નિયમોમાં મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. નવા નિયમ અનુસાર, હવે માત્ર એક વર્ષનો માન્ય વિઝા હોવો જ પૂરતો નથી, પરંતુ શ્રદ્ધાળુઓએ દરેક યાત્રા પહેલાં નુસુક (Nusuk) પ્લેટફોર્મ પરથી નવી પરમિટ મેળવવી પડશે.
દરેક યાત્રા માટે નવું સેવા પેકેજ અને પરમિટ ફરજિયાત
સાઉદી અરબના હજ અને ઉમરાહ મંત્રાલયના નવા આદેશ મુજબ, ઉમરાહ માટે જતા તમામ શ્રદ્ધાળુઓએ નુસુક પ્લેટફોર્મ પર નોંધાયેલા અધિકૃત સેવા પ્રદાતા (સર્વિસ પ્રોવાઇડર) પાસેથી ઉમરાહ પેકેજ બુક કરાવવું ફરજિયાત છે. આ પેકેજ શ્રદ્ધાળુઓની મુસાફરીની નિયત તારીખો પર આધારિત હોવું જોઈએ.
આ ઉપરાંત, નુસુક એપ્લિકેશન દ્વારા નવી ઉમરાહ પરમિટ મેળવવી આવશ્યક છે. આ પરમિટની તારીખો તમે બુક કરેલા સેવા પેકેજની તારીખો સાથે મેળ ખાતી હોવી જોઈએ. આનો અર્થ એ થયો કે માત્ર માન્ય વિઝા હોવાના આધારે જ શ્રદ્ધાળુઓ સીધા ઉમરાહ નહીં કરી શકે. દરેક નવી મુસાફરી વખતે અલગ સેવા પેકેજ અને નવી ઉમરાહ પરમિટ લેવી પડશે.
વિઝાની મુદત અને રોકાણના નિયમો
એક વર્ષ માટે જાહેર કરાયેલા મલ્ટિપલ એન્ટ્રી વિઝા તેની ઇશ્યૂ તારીખથી 365 દિવસ માટે માન્ય રહે છે. આ સમયગાળા દરમિયાન શ્રદ્ધાળુઓ સાઉદી અરેબિયાની મુલાકાત લઈ શકે છે, પરંતુ સાઉદી અરેબિયામાં કુલ રોકાણનો સમયગાળો 90 દિવસથી વધુ ન હોવો જોઈએ.
પહેલી વખત અરજી કરનારાઓ માટે પ્રક્રિયા
પહેલી વખત ઉમરાહની મુસાફરી કરનારા શ્રદ્ધાળુઓએ સૌપ્રથમ નુસુક પ્લેટફોર્મ પરથી અધિકૃત સેવા પેકેજ પસંદ કરવું પડશે. ત્યારબાદ તેઓ વિઝા માટે અરજી કરી શકશે અને અન્ય જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરશે. શ્રદ્ધાળુઓએ સાઉદી અરેબિયાના તમામ પ્રવેશ અને પ્રવાસન નિયમોનું કડક પાલન કરવાનું રહેશે.
હજ અને ઉમરાહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુઓ માટે રહેઠાણ, પરિવહન અને અન્ય સુવિધાઓનું વ્યવસ્થાપન વધુ સુદ્રઢ અને પારદર્શી બનાવી શકાય તે હેતુથી આ સુધારો કરવામાં આવ્યો છે.

