PM મોદીને મળ્યું વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન; સેશેલ્સે 'Guardian of the Blue Horizon' ઉપાધિથી નવાજ્યા

સેશેલ્સના ગોલ્ડન જુબિલી નેશનલ ડે સમારોહમાં સામેલ થવા રાજધાની વિક્ટોરિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્ટેટ હાઉસમાં ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેશેલ્સે પીએમ મોદીને 'ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન'ની ઉપાધિ આપી હતી.
શું છે ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન?
'ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન' (Guardian of the Blue Horizon) નો અર્થ થાય છે 'નીલા ક્ષિતિજના સંરક્ષક'. આ એક વિશેષ સન્માનજનક ઉપાધિ છે, જે એવા નેતાઓ અથવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે સમુદ્ર, દરિયાઈ પર્યાવરણ, આબોહવા સંરક્ષણ (ક્લાઈમેટ પ્રોટેક્શન) અને દરિયાઈ સંસાધનોના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય. સેશેલ્સ જેવા ટાપુ દેશ માટે મહાસાગરો તેની જીવાદોરી છે, તેથી આ સન્માન તેમના માટે અત્યંત ખાસ માનવામાં આવે છે.
PM મોદીને આ સન્માન કેમ મળ્યું?
સેશેલ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઉપાધિ દરિયાઈ પર્યાવરણ સંરક્ષણ, બ્લુ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા, હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને સહયોગ મજબૂત કરવા તેમજ આબોહવા પરિવર્તન સાથે જોડાયેલા વૈશ્વિક પ્રયાસોમાં ભારતની સક્રિય ભૂમિકાના સન્માનમાં આપી છે. આ સન્માન બંને દેશોના મજબૂત સંબંધો અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાનું પણ પ્રતીક માનવામાં આવે છે.
વડાપ્રધાને દ્વિપક્ષીય વાટાઘાટો કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત-સેશેલ્સ સંબંધોના તમામ મુખ્ય પાસાઓની વ્યાપક સમીક્ષા કરી હતી અને પરસ્પર હિત સાથે જોડાયેલા પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. ત્રણ દિવસની મુલાકાતે શનિવારે સેશેલ્સ પહોંચેલા વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રપતિ હર્મિનીએ સ્ટેટ હાઉસમાં ઔપચારિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી.
રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ બનશે
રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીના આમંત્રણ પર સેશેલ્સ પહોંચેલા વડાપ્રધાન મોદી સોમવારે દેશના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતી સમારોહમાં ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે હાજરી આપશે. આ ઉપરાંત તેઓ સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરશે અને ત્યાં વસતા ભારતીય સમુદાયના લોકોને પણ મળશે અને તેમની સાથે સંવાદ કરશે.
ઐતિહાસિક સંબંધોને નવી મજબૂતી આપવા પર ભાર
ભારત અને સેશેલ્સ વચ્ચે લાંબા સમયથી ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. બંને દેશોની ભાગીદારી સહિયારો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને લોકો વચ્ચેના મજબૂત સંબંધો પર આધારિત છે. વાટાઘાટો દરમિયાન આ સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

