એમેઝોન ભારતમાં 48 અબજ ડોલરનું રોકાણ કરશે, PM મોદી સાથે મુલાકાત બાદ CEOની જાહેરાત

વિશ્વની સૌથી દિગ્ગજ ઈ-કૉમર્સ અને આઈટી કંપની એમેઝોને આજે (25 જૂન) ભારતમાં પાંચ વર્ષમાં અબજો ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. એમેઝોનના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર એન્ડી જેસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ ભારતમાં 2026થી 2030 વચ્ચે 48 અબજ ડૉલરનું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે.
એન્ડી જેસીએ કહ્યું કે, અમે 2010થી અત્યાર સુધીમાં ભારતમાં 40 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. અમે ગત વર્ષના અંતે જાહેરાત કરી હતી કે, 2026થી 2030 વચ્ચે ભારતમાં 35 અબજ ડૉલરનું રોકાણ કરીશું. હવે અમે આ રકમમાં વધારો કરીએ છીએ. અમે હવે પાંચ વર્ષમાં 48 અબજ ડૉલરનું રોકાણ કરીશું.
એમેઝોન 3 મહત્ત્વના સેક્ટરોમાં કરશે રોકાણ
એમેઝોનનો ભારતમાં રોકાણ કરવાના નિર્ણયથી ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થામાં વધતી માંગ પુરી થશે. આ જાહેરાત બાદ દેશમાં 2010થી 2030 સુધીમાં એમેઝોન દ્વારા કુલ રોકાણ કરવાની પ્રતિબદ્ધતા 88 અબજ ડૉલર સુધી પહોંચી જશે. કંપની ઈ-કોમર્સ નેટવર્ક, કોમર્શિયલ ઓપરેશનલ, ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ રોકાણ કરશે.
એમેઝોનના CEOએ PM મોદીની કરી પ્રશંસા
એમેઝોનના સીઈઓએ વડાપ્રધાન મોદીના છેલ્લા 12 વર્ષના કાર્યકાળની સફળતાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, ભારત વિશ્વના દરેક સેક્ટર અને દરેક બાબતોમાં મહત્ત્વનો દેશ બની ગયો છે. દેશને તમામ પાસાઓમાં શ્રેષ્ઠ બનાવવાના વડાપ્રધાન પાસે અનેક વિચારો છે.

