સમુદ્રથી આકાશ સુધી ભારત સુરક્ષિત; 'મન કી બાત'ના 135મા એપિસોડમાં PM મોદીએ દેશની સૈન્ય તાકાતને બિરદાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના ૧૩૫મા એપિસોડમાં દેશની સુરક્ષા, આત્મનિર્ભરતા અને રમતગમત જગતની મોટી સિદ્ધિઓની પ્રશંસા કરી. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રના એક પરિવાર દ્વારા લગ્નમાં કરવામાં આવેલી અનોખી પહેલ અને સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓના મોટા આંકડા દેશવાસીઓ સાથે શેર કર્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે ૧૧ વાગ્યે પોતાના લોકપ્રિય માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૩૫મા એપિસોડના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કરતા વર્ષ ૨૦26ના શરૂઆતના છ મહિનામાં દેશ દ્વારા સુરક્ષા અને આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં પ્રાપ્ત કરવામાં આવેલી અનેક ગૌરવશાળી સ્વદેશી ઉપલબ્ધિઓની વિગતવાર ચર્ચા કરી.
PMએ દેશવાસીઓને સંબોધતા કહ્યું કે ૨૦26નું અડધું વર્ષ વીતી જવા આવ્યું છે. આ 6 મહિનામાં આપણે 'મન કી બાત'માં દેશવાસીઓની અનેક સિદ્ધિઓ પર ચર્ચા કરી છે. જૂન મહિનામાં પણ દેશે કેટલીક એવી સિદ્ધિઓ હાંસલ કરી છે જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. આ સફળતાઓ દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલી છે. તાજેતરમાં જ મને કોલકાતામાં નૌકાદળ સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સામેલ થવાની તક મળી. ત્યાં INS દૂનાગિરી, INS સંશોધક અને INS અગ્રયને ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યા. આ શિપ્સની ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધી, બધું જ સ્વદેશી છે.
'ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ'
પીએમે આગળ કહ્યું, 'આ જ મહિને DRDOએ સ્વદેશી 'લોન્ગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલ'નું પણ સફળ પરીક્ષણ કર્યું છે. તેને DRDOની પ્રયોગશાળાઓ અને ભારતીય ઉદ્યોગ ભાગીદારોએ મળીને બનાવી છે. એટલે કે, આજે સમુદ્રથી લઈને આકાશ સુધી આપણું ભારત વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે.'
પીએમે કહ્યું કે સાથીઓ જૂન મહિનામાં વધુ એક આયોજન થયું, જેમાં આખી દુનિયા ભારતના પ્રયાસો સાથે જોડાઈ અને આ કાર્યક્રમ હતો 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'. આ વખતે વિશ્વના ૨૫૦૦થી વધુ સ્થળોએ યોગના અનેક વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આપણા દેશમાં કરોડો લોકોએ સ્થળે-સ્થળે યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ મહિને અમદાવાદમાં આયોજિત 'વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ'ની પણ મોટી ચર્ચા થઈ હતી. આમાં ભારતે કુલ ૧૧૪ મેડલ જીત્યા છે, જેમાં ૧૦૨ ગોલ્ડ મેડલ પણ સામેલ છે.
નાંદેડના પેઠકર પરિવારની પ્રશંસા
પીએમ મોદીએ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત બહાદુરપુરા ગામના પેઠકર પરિવારની એક ખૂબ જ સંવેદનશીલ અને અનોખી પહેલની પ્રશંસા કરી. આ પરિવારે પોતાના ઘરમાં લગ્નના અવસરે ખોટા ખર્ચા કે પરંપરાગત ભેટસોગાદો આપવાના બદલે ગામના આશરે સાડા ત્રણ હજાર લોકો માટે અકસ્માત વીમાની અનોખી વ્યવસ્થા કરી. પરિવારે દરેક ગ્રામીણ વ્યક્તિને એક લાખ રૂપિયાનું વીમા કવચ ભેટમાં આપ્યું જેથી મુશ્કેલ સમયમાં તે કોઈપણ ગરીબ પરિવારનો સહારો બની શકે.
આ નેક પહેલ પાછળની ભાવનાને ખૂબ જ સ્પર્શી જનારી ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પેઠકર પરિવારે જોયું હતું કે અચાનક થતા કોઈ અકસ્માત બાદ પીડિત પરિવારોને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા મુશ્કેલ સમયમાં મળતી એક નાનકડી સહાય પણ કોઈ પરિવાર માટે બહુ મોટો ટેકો અને સહારો બની જાય છે, આ જ વિચાર સાથે પરિવારે ખુશીઓ વહેંચવાની આ અનોખી રીત પસંદ કરી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર દેશના કરોડો પરિવારો સુધી સુરક્ષાનું મજબૂત કવચ પહોંચાડી રહી છે. 'પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના' હેઠળ દેશવાસીઓને માત્ર ૨૦ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર બે લાખ રૂપિયા સુધીનો 'અકસ્માત વીમો' મળે છે. અત્યાર સુધીમાં આ કલ્યાણકારી યોજના સાથે દેશના ૫૮ કરોડથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે, જેમાં અંદાજે ૨૮ કરોડ આપણી માતાઓ, બહેનો, દીકરીઓ અને મહિલાઓ સામેલ છે. આ યોજનાથી પીડિત પરિવારોને અત્યાર સુધીમાં ૩,૭૦૦ કરોડ રૂપિયાથી વધુની સહાય મળી ચૂકી છે.
તે જ રીતે 'પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના'નું મહત્વ સમજાવતા પીએમે કહ્યું કે આ યોજના વ્યક્તિના દુઃખદ અવસાન પર તેના પરિવારને બે લાખ રૂપિયાનું વીમા કવચ આપે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર ૪૩૬ રૂપિયા છે, જે દૈનિક ધોરણે માંડ દોઢ રૂપિયો થાય છે. આ યોજના સાથે અત્યાર સુધીમાં ૨૭ કરોડથી વધુ લોકો જોડાયા છે અને તેના હેઠળ દેશના આશરે ૧૧ લાખ પીડિત પરિવારોને લગભગ ૨૨ હજાર કરોડ રૂપિયાની મોટી સહાય રકમ મળી ચૂકી છે.
આ મોટા આંકડાઓનો પ્રભાવ સમજાવતા પીએમ મોદીએ કહ્યું કે આ મદદથી ક્યાંક કોઈ માતાને પોતાના બાળકોનો અભ્યાસ ચાલુ રાખવામાં મદદ મળી ગઈ, તો ક્યાંક કોઈ નિરાધાર પત્નીને ઘરની જવાબદારીઓ સંભાળવાનો મજબૂત સહારો મળી ગયો. ઘણીવાર બહુ મોટી સુરક્ષાની શરૂઆત ખૂબ જ નાની રકમ અને એક નાનકડા પગલાથી થઈ શકે છે. તેમણે તમામ દેશવાસીઓને વિનંતી કરી કે તેઓ પોતાના પરિવારોમાં આ સરકારી વીમા યોજનાઓની માહિતી ચોક્કસપણે શેર કરે.
અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યું છે 'હરગિલા'
PMએ લોકોની અંધશ્રદ્ધાનો ભોગ બની રહેલા આસામના એક પક્ષીનો ઉલ્લેખ કરતા કહ્યું કે સાથીઓ આસામમાં એક પક્ષી જોવા મળે છે. તે પક્ષીનું નામ 'હરગિલા' છે. 'હરગિલા' એક દુર્લભ પક્ષી છે. તે પ્રકૃતિને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ આસામના કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી તેને અશુભ માનવામાં આવતું હતું. લોકો તેને પોતાની આસપાસ જોવાનું પસંદ કરતા નહોતા. ઘણીવાર એવા વૃક્ષોને પણ કાપી નાખવામાં આવતા હતા, જેના પર હરગિલાના માળા બનેલા હોય. વિચારો, જે પક્ષી પર્યાવરણની સફાઈમાં મદદ કરે છે, તે જ 'હરગિલા' લોકોના ડરનો શિકાર બની ગયું હતું.
આ દરમિયાન જીવવિજ્ઞાની પૂર્ણિમા દેવી બર્મનએ આ બધું જોયું. તેમણે લોકોના મનમાં રહેલી ખોટી માન્યતાને બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે મહિલાઓ સાથે વાત કરી, તેમણે લોકોને વિજ્ઞાનના આધારે સમજાવ્યા, ધીમે-ધીમે મહિલાઓ આ અભિયાન સાથે જોડાવા લાગી. પછી એક મોટો બદલાવ શરૂ થયો. જે પક્ષીને ક્યારેક અશુભ માનીને ભગાડી દેવામાં આવતું હતું, તે જ ગામડાઓની ઓળખ બનવા લાગ્યું. હજારો ગ્રામીણ મહિલાઓ 'હરગિલા'ને બચાવવા માટે આગળ આવી - આજે તેમને 'હરગિલા આર્મી' તરીકે ઓળખવામાં આવે છે.

