PM મોદીએ કરી આ વર્ષની અંતિમ 'મન કી બાત', જેના પર દરેક ભારતીયએ ગર્વ કર્યો તેવી બાબતો જણાવી

આજે 28 ડિસેમ્બરના રોજ વર્ષ 2025નો અંતિમ રવિવાર છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમણે આ વર્ષની અંતિમ 'મન કી બાત' કરી હતી. આજે 'મન કી બાત'નો 129મો એપિસોડ જાહેર થયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025માં થયેલી દેશની એવી બાબતો જણાવી, જેના પર દરેક ભારતીય ગર્વ કરી શકે છે.
'ઓપરેશન સિંદૂર' દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક બન્યું
'મન કી બાત'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "આ વર્ષે, 'ઓપરેશન સિંદૂર' દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક બન્યું. દુનિયાએ સ્પષ્ટપણે જોયું કે આજનું ભારત તેની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરતું નથી. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન, દુનિયાના દરેક ખૂણામાંથી ભારત માતા પ્રત્યે પ્રેમ અને ભક્તિની છબીઓ ઉભરી આવી. 'વંદે માતરમ'ને 150 વર્ષ પૂર્ણ થયા ત્યારે પણ આ જ ભાવના જોવા મળી."
ભારતે દરેક જગ્યાએ મજબૂત છાપ છોડી: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, "2025 એ આપણને ઘણી એવી ક્ષણો આપી, જેના પર દરેક ભારતીયએ ગર્વ કર્યો. રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમત-ગમતના મેદાનો સુધી, વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા પ્લેટફોર્મ સુધી, ભારતે દરેક જગ્યાએ મજબૂત છાપ છોડી છે. ભારતે વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રોમાં પણ મોટી પ્રગતિ કરી છે. શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા. પર્યાવરણીય સંરક્ષણ અને વન્યજીવન સંરક્ષણ સંબંધિત ઘણી પહેલો પણ 2025માં શરૂ થઈ. ભારતમાં ચિત્તાઓની સંખ્યા હવે 30ને વટાવી ગઈ છે."
'મહાકુંભના આયોજને આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "2025માં, શ્રદ્ધા, સંસ્કૃતિ અને ભારતનો અનોખો વારસો એક સાથે આવ્યો. વર્ષની શરૂઆતમાં પ્રયાગરાજ મહાકુંભના આયોજને આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી. વર્ષના અંતે અયોધ્યામાં રામ મંદિરમાં ધ્વજવંદન સમારોહે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો."
2025એ ભારતને વધુ આત્મવિશ્વાસ આપ્યો
તેમણે કહ્યું કે, "લોકોએ સ્વદેશી ઉત્પાદનો માટે પણ ખૂબ ઉત્સાહ દર્શાવ્યો છે, લોકો ફક્ત ભારતીયોની મહેનતથી બનેલી વસ્તુઓ ખરીદી રહ્યા છે. આજે, આપણે ગર્વથી કહી શકીએ છીએ કે 2025એ ભારતને વધુ આત્મવિશ્વાસ આપ્યો છે."
પીએમ મોદીએ કન્નડ પાઠશાળાનો ઉલ્લેખ કર્યો
'મન કી બાત'માં વડાપ્રધાન મોદીએ કન્નડ પાઠશાળાનો વિચાર ક્યાંથી આવ્યો તે વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, Smart India Hackathon 2025 આ મહિને જ પૂર્ણ થયું. આ હેકાથોન દરમિયાન, વિદ્યાર્થીઓએ 80થી વધુ સરકારી વિભાગોની 270થી વધુ સમસ્યાઓ પર કામ કર્યું.
2026માં ઉજવાશે પાર્વતી ગિરીની જન્મશતાબ્દી
PM મોદીએ કહ્યું કે, ઓડિશાના પાર્વતી ગિરીની જન્મશતાબ્દી જાન્યુઆરી 2026માં ઉજવવામાં આવશે. તેમણે 16 વર્ષની ઉંમરે 'ભારત છોડો' ચળવળમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા ચળવળ પછી, પાર્વતી ગિરીએ પોતાનું જીવન સમાજ સેવા અને આદિવાસી કલ્યાણ માટે સમર્પિત કર્યું. તેમણે અનેક અનાથાશ્રમોની સ્થાપના કરી. તેમનું પ્રેરણાદાયી જીવન આવનારી પેઢીઓને માર્ગદર્શન આપતું રહેશે.

