તેહરાનથી મશહાદ સુધી લાશોના ઢગલા: ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 646 લોકોના મોત

તેહરાન: ઈરાનમાં કથળતી આર્થિક સ્થિતિ અને રાજકીય અસંતોષને કારણે ફાટી નીકળેલો જનવિદ્રોહ હવે ભયાનક વળાંક લઈ રહ્યો છે. હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સી (HRANA) ના તાજેતરના અહેવાલ મુજબ, દેશભરમાં ચાલી રહેલા પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 646 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈરાન સરકાર દ્વારા કડક હાથે દમન છતાં લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે.
દમન અને ઈન્ટરનેટ બ્લેકઆઉટ
ઈરાન સરકારે વિરોધને દબાવવા માટે દેશભરમાં સંચાર સેવાઓ (કોમ્યુનિકેશન) પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઈન્ટરનેટ બંધ હોવાને કારણે હિંસાના સચોટ આંકડા મેળવવા મુશ્કેલ છે, પરંતુ માનવાધિકાર સંગઠનો ચેતવણી આપી રહ્યા છે કે મૃત્યુઆંક હજુ ઘણો વધારે હોઈ શકે છે. સરકારે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ આંકડા જાહેર કર્યા નથી.
ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીનો સંદેશ
ઈરાનના નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીએ સોશિયલ મીડિયા દ્વારા ઈરાની જનતાને જુસ્સો પૂરો પાડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર હત્યા અને દમન દ્વારા ડર ફેલાવવાની કોશિશ કરી રહી છે. હજારો સૈન્ય અને સુરક્ષા દળોએ જનતા પરના દમનમાં હિસ્સો લેવાનું ના પાડી દીધું છે. આઈટી નિષ્ણાતોને અપીલ કરી કે તેઓ સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરે જેથી દેશ ફરી દુનિયા સાથે જોડાઈ શકે.
ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી અને 25% ટેરિફ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પરિસ્થિતિમાં અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેમની નેશનલ સિક્યુરિટી ટીમ ઈરાન પર સાયબર એટેક અથવા સીધા સૈન્ય હુમલા જેવા વિકલ્પો પર વિચાર કરી રહી છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે જે પણ દેશો ઈરાન સાથે વેપાર ચાલુ રાખશે, તેમણે અમેરિકામાં 25% ટેરિફનો સામનો કરવો પડશે. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ધમકીઓ વચ્ચે હવે ઈરાન વોશિંગ્ટન સાથે વાતચીત કરવા માટે ગિગિડાઈ રહ્યું છે.
યુદ્ધના ભણકારા
ટ્રમ્પે એરફોર્સ વનમાં પત્રકારોને કહ્યું કે, "જો ઈરાન કોઈ વળતી કાર્યવાહી કરશે, તો અમે તેમના પર એવા સ્તરે હુમલો કરીશું જેવો પહેલા ક્યારેય જોયો નહીં હોય." આ સ્થિતિને કારણે મધ્ય પૂર્વમાં ભારે તણાવ છે અને વૈશ્વિક સ્તરે યુદ્ધની આશંકા સેવાઈ રહી છે.

