ખાવા-પીવાની કોઈ જ વ્યવસ્થા નથી!, આ મુસ્લિમ દેશમાં 30 કલાકથી અટવાયા 260 ભારતીય મુસાફરો

લંડનથી મુંબઈ જતી વર્જિન એટલાન્ટિક ફ્લાઇટના 260 થી વધુ મુસાફરો 30 કલાકથી વધુ સમયથી તુર્કીના દિયારબાકીર એરપોર્ટ પર ફસાયેલા છે. આ મુસાફરો સતત મદદ માટે વિનંતી કરી રહ્યા છે. વર્જિન એટલાન્ટિકે તેને "હાર્ડ લેન્ડિંગ" ગણાવ્યું, ત્યારબાદ ટેકનિકલ સમસ્યાને કારણે વિમાનને ઉડાન માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ ક્રૂને એક હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મુસાફરોને નાના પ્રાદેશિક એરપોર્ટની અંદર એક પ્રતિબંધિત વિસ્તારમાં રાખવામાં આવ્યા જ્યાં પૂરતી સુવિધાઓ નથી.
ભારતીય દૂતાવાસની મદદથી, કેટલાક મુસાફરોને નજીકની હોટલમાં લઈ જવામાં આવ્યા છે. એરલાઇને કહ્યું છે કે સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં બેકઅપ ફ્લાઇટ તૈયાર થઈ જશે. જોકે, કેટલાક મુસાફરો હજુ પણ એરપોર્ટ ટ્રાન્ઝિટ હોલ્ડિંગ વિસ્તારમાં છે.
મૂળભૂત સુવિધાઓનો અભાવ
દરમિયાન, ફસાયેલા મુસાફરોએ આરોપ લગાવ્યો કે એરલાઇન મૂળભૂત સુવિધાઓની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ. મુસાફરોનો આરોપ છે કે વર્જિન એરલાઇન્સે મુસાફરો માટે કોઈ વ્યવસ્થા કરી નથી કે તેઓ ક્યારે મુંબઈ જવા રવાના થશે તેની કોઈ માહિતી આપી નથી. ફ્લાઇટમાં ફસાયેલા મુસાફરોએ ટ્વિટર પર અપૂરતી ખોરાક, શૌચાલય અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે ચાર્જિંગ પોઇન્ટ સહિતની મૂળભૂત સુવિધાઓના અભાવની ફરિયાદ કરી હતી.
AAP નેતા પ્રીતિ શર્મા-મેનને ટ્વિટર પર લખ્યું, "24 કલાક થઈ ગયા છે અને એક પણ એરલાઇન પ્રતિનિધિ મુસાફરોને મળ્યો નથી. તેમની પાસે ખાવાનું પણ નથી. 275 મુસાફરો માટે એક શૌચાલય છે, ફોનની બેટરી ખતમ થઈ રહી છે કારણ કે તેમની પાસે એડેપ્ટર નથી. મુસાફરોમાં બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ, ડાયાબિટીસના દર્દીઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે." તેમણે સરકારને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી.
સંજય શાહ નામના બીજા એક યુઝરે લખ્યું, "મારા પરિવારનો સભ્ય દિયારબાકીરમાં ફસાયેલો છે. તે તેના પિતાને મળવા આવ્યો હતો. જેમની તબિયત ગંભીર છે. ટોચની એરલાઇન તરફથી આટલું ખરાબ વર્તન કેમ? ખોરાક નથી, પાણી નથી. ઉતરાણ પછી બધા કેબિન ક્રૂ ગાયબ થઈ ગયા."
ભારતીય દૂતાવાસનું નિવેદન
અગાઉ, તુર્કીમાં ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, 'અંકારા સ્થિત ભારતીય દૂતાવાસ વર્જિન એટલાન્ટિક એરલાઇન્સ, દિયારબાકિર એરપોર્ટ ડિરેક્ટોરેટ અને તુર્કીના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે.' મિશનના સંકલન દ્વારા મુસાફરોની યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે. અમે સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ જેથી આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવી શકાય અને ફસાયેલા મુસાફરો માટે મુંબઈ માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરી શકાય.
બુધવારે વિમાનને મેડિકલ ઈમરજન્સીના કારણે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વર્જિન એટલાન્ટિકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે: "2 એપ્રિલના રોજ, હીથ્રોથી મુંબઈ જતી ફ્લાઇટ VS358 ને તબીબી કટોકટીને કારણે દિયારબાકીર તરફ વાળવામાં આવી હતી, ત્યારબાદ વિમાનનું ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું."
મુસાફરો માટે એક મોટા સમાચાર હતા કે તેમનું વિમાન મુસ્લિમ દેશ તુર્કીના દિયારબાકિર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે. ઉતરાણનું કારણ મેડિકલ ઈમરજન્સી હોવાનું જણાવાયું હોવાથી, કોઈ ઇચ્છે તો પણ કંઈ કહી શક્યું નહીં. મુસાફરનો જીવ જોખમમાં મુકાઈ ગયો કારણ કે તેને ખબર પડી કે તેનું વિમાન જ્યાં ઉતરવાનું હતું તે દિયારબાકીર એરપોર્ટ કોઈ કોમર્શિયલ એરપોર્ટ નથી પણ તુર્કી આર્મીનું એર બેઝ છે.
થોડીવાર પછી વિમાન રનવેની નજીક પહોંચી ગયું. વિમાન રનવેને સ્પર્શતાની સાથે જ મુસાફરોને જોરદાર આંચકો લાગ્યો. વિમાન થોડા સમય માટે રનવે પર એક બોલની જેમ ઉછળતું રહ્યું. વિમાનમાં સર્જાયેલી આ પરિસ્થિતિથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. કોઈક રીતે વિમાન ટર્મિનલ બિલ્ડિંગ સુધી પહોંચવામાં સફળ રહ્યું. અને આ સાથે મુસાફરો માટે મુશ્કેલીઓ અને પીડાથી ભરેલી એક નવી સફર શરૂ થઈ.
શરૂઆતમાં, બધાને આશા હતી કે આ ફક્ત એક નાનો વિરામ હશે. પરંતુ વિમાનમાંથી બહાર નીકળ્યા પછી, બધાને ખબર પડી કે હાર્ડ લેન્ડિંગને કારણે, વિમાનના ટાયરને ખૂબ નુકસાન થયું હતું, તેથી બધા મુસાફરોએ આગામી વિમાન આવે ત્યાં સુધી તે જ એરપોર્ટ પર રાહ જોવી પડશે. મુંબઈ આવતા મુસાફરો છેલ્લા 30 કલાકથી આ એરપોર્ટ પર ફસાયેલા છે અને તેમની સંભાળ રાખનાર કોઈ નથી. દિયારબાકીર એરપોર્ટ પર પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઈ.

