VIDEO: નેપાળ પૂર હોનારત: મૃતદેહો કોહવાતાં મહામારીનો ખતરો, DNA સેમ્પલ સાચવીને તાત્કાલિક કરાશે અંતિમ સંસ્કાર
નેપાળમાં અચાનક આવેલી વિનાશક પૂરની હોનારત બાદ ચાલતી રાહત અને બચાવ કામગીરી વચ્ચે અત્યાર સુધીમાં 600થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. જોકે, મોટાભાગના મૃતદેહોની ઓળખ ન થઈ શકવાના કારણે તેમનો અંતિમ સંસ્કાર અટકી પડ્યો છે. હવે આ મૃતદેહો કોહવાઈ રહ્યા હોવાથી પૂર પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો અને ભયાનક મહામારી ફેલાવાનો મોટો ખતરો ઉભો થયો છે.
ચિતવનમાં હોસ્પિટલો ભરાઈ, સરકારી ઓફિસમાં રખાયા મૃતદેહો
માત્ર ચિતવન જિલ્લામાંથી જ અત્યાર સુધીમાં 178 મૃતદેહો રિકવર કરવામાં આવ્યા છે, જેમાં પુરુષો, મહિલાઓ અને નાના બાળકો પણ સામેલ છે. ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ગણેશ આર્યલના જણાવ્યા મુજબ, હોસ્પિટલોમાં જગ્યા ઓછી પડતાં મૃતદેહોને સરકારી ઓફિસમાં રાખવાની નોબત આવી છે. યોગ્ય કોલ્ડ સ્ટોરેજ સુવિધાના અભાવે આ મૃતદેહોમાંથી ભયાનક દુર્ગંધ આવી રહી છે.
ડીએનએ સેમ્પલ સાચવીને થશે અંતિમ વિધિ
મહામારીના ખતરાને પહોંચી વળવા માટે નેપાળ સરકાર હવે વગર ઓળખાયેલા તમામ મૃતદેહોના ડીએનએ (DNA) સેમ્પલ સુરક્ષિત રાખીને તેમના ઝડપી અંતિમ સંસ્કાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. જેથી ભવિષ્યમાં સ્વજનો ઓળખ માટે આવે તો ડીએનએ મેચ કરી શકાય અને હાલમાં ફેલાતી દુર્ગંધ તેમજ ચેપને અટકાવી શકાય.
સરકારની નવી વ્યૂહરચના અને સ્થળાંતર
નેપાળ ગૃહ મંત્રાલયના ઉપ પ્રવક્તા રમા આચાર્ય સુબેદીના જણાવ્યા મુજબ, રસુવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા અને ચિતવન જેવા વિસ્તારોમાંથી સતત મૃતદેહો મળી રહ્યા છે. મહામારી રોગ નિયંત્રણ વિભાગના ડિરેક્ટર ડૉ. અનુજ ભટ્ટાચને જણાવ્યું કે સ્થાનિક સ્તરે સાધનોની અછત હોવાથી ધાદિંગથી મળેલા મૃતદેહોને કાઠમંડુ અને પોખરા ખસેડવામાં આવી રહ્યા છે, જેથી ત્યાં ઉપલબ્ધ રેફ્રિજરેશન સુવિધાનો ઉપયોગ કરી શકાય.

