Israel and Hamas War: ઈઝરાયલ Gaza પર સંપૂર્ણ કાબૂ કરવાની તૈયારીમાં, હમાસના વધુ એક કમાન્ડરને ઠાર મરાયો

Israel and Hamas War: ઈઝરાયલ અને હમાસ વચ્ચે બે વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ યુદ્ધમાં નવું એક અપડેટ આવ્યું છે. જેમાં ગાઝા પર ઈઝરાયલનો કબ્જો હવે લગભગ નક્કી મનાઈ રહ્યો છે. હમાસ વિરુદ્ધ છેડેલા યુદ્ધમાં ઈઝરાયલી સૈન્ય સતત આગળ વધી રહી છે. આ દરમ્યાન દક્ષિણી ગાઝામાં હમાસના મોટા કમાન્ડર નાસર મૂસાને ઠાર માર્યા પછી પણ આઈડીએફે પોતાના હુમલા યથાવત્ રાખ્યા છે. ફરી નવા હુમલા એ શાળા પર કરવામાં આવ્યો હતો જ્યાં બેઘર થયેલા પરિવારોએ શરણ લીધેલી હતી. આ હુમલામાં 37 લોકો મોતને ભેટયા છે. જેમાં ઘણી મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
ગાઝાની શેરીઓમાં ફક્ત કાટમાળ અને ખંડેર જ દેખાઈ રહ્યો છે. ઈઝરાયલી લડાકુ વિમાનોએ રફાહ બ્રિગેડના એક મહત્વપૂર્ણ આતંકવાદી નાસર મૂસાને હવાઈ હુમલામાં મારી નાખ્યો છે. મુસા હમાસના આતંકવાદીઓને તાલીમ આપતો હતો અને ઈઝરાયલમાં ઘણા હુમલાઓનો માસ્ટરમાઇન્ડ પણ હતો. આ ઉપરાંત, ઈઝરાયલી સેનાએ ખાન યુનિસમાં તે ઇમારતને પણ નિશાન બનાવી હતી, જેનો ઉપયોગ હમાસે રોકેટ સંગ્રહ કરવા માટે કર્યો હતો.
ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમની સેનાને ગાઝા પટ્ટી પર કબજો કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. તેમણે કહ્યું છે કે આ યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે અને બંધકોને કોઈપણ કિંમતે મુક્ત કરવામાં આવશે. જોકે, વિશ્વના ઘણા દેશો આ કાર્યવાહીને ગાઝાના અંતની નિશાની માની રહ્યા છે. તે જ સમયે, ઘણા દેશોએ ઈઝરાયલ સામે કાર્યવાહી કરીને પેલેસ્ટાઇન રાજ્યને પણ માન્યતા આપી છે.
મૃત્યુઆંક ખતરનાક
હાલ ગાઝામાં સ્થિતિ ખૂબ જ ભયાનક છે. છેલ્લા બે વર્ષમાં 61,827 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. આ ઉપરાંત, 1,55,275 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. છેલ્લા 24 કલાકમાં જ 51 લોકોએ જીવ ગુમાવ્યા અને 369 ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયલી હુમલાનું સૌથી મોટું લક્ષ્ય તે શાળા હતી જ્યાં વિસ્થાપિત પરિવારોએ આશ્રય લીધો હતો. આ બોમ્બ ધડાકા પછી, મહિલાઓ અને બાળકોના મૃતદેહો પરિસરમાં વિખરાયેલા હતા.
બંધકો માટે વિરોધ પ્રદર્શન
ઈઝરાયલમાં બંધકોને મુક્ત કરવાની માંગ વધી રહી છે. હજારો લોકો પોસ્ટર અને બેનરો સાથે તેલ અવીવના રસ્તાઓ પર ઉતર્યા હતા. તેમણે સરકારને તેમના પ્રિયજનોને સુરક્ષિત રીતે પાછા લાવવાની અપીલ કરી હતી. બંધક બનાવવામાં આવેલા નેપાળી નાગરિકની બહેને કહ્યું, "લગભગ બે વર્ષ વીતી ગયા છે પરંતુ કોઈ માહિતી મળી નથી. સતત ભૂખ્યા રહીને અને ઘાયલ થઈને જીવિત રહેવું અશક્ય છે. કોઈ 680 દિવસ સુધી નરકમાં કેવી રીતે જીવિત રહી શકે?"
પ્રદર્શનકારીઓનો રોષ
ઈઝરાયલમાં હવે સરકાર સામે પ્રદર્શન થઈ રહ્યું છે. જેમાં એક બંધકના પિતાએ કહ્યું, "આ કોઈ રજા નથી કે લોકો ખરીદી માટે બહાર આવે છે. આ પ્રદર્શનનો દિવસ છે. આ ફક્ત બંધકોના પરિવારો સાથે ઉભા રહેવાનો માર્ગ નથી, પરંતુ ઈઝરાયલના નૈતિક પાત્રને બચાવવાની નાગરિક જવાબદારી પણ છે." વિરોધીઓએ વડા પ્રધાન નેતન્યાહૂ પર ગંભીર આરોપો લગાવ્યા. તેમનું કહેવું છે કે નેતન્યાહૂ પોતાના રાજકીય લાભ માટે બંધકોના જીવન સાથે રમી રહ્યા છે.
બેંઝામિન નેતન્યાહૂના વિરોધમાં લોકો
એક પ્રદર્શનકારીએ કહ્યું, "હું દર શનિવારે અહીં આવું છું. સૌ પ્રથમ, અમે એવા પરિવારો સાથે ઉભા છીએ જેમના પ્રિયજનોને લગભગ બે વર્ષથી બંધક બનાવવામાં આવ્યા છે. બીજું, અમે અમારી સરકારની વિરુદ્ધ ઉભા છીએ. અમે આ સરકારને ધિક્કારીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે તે જાય જેથી અમે ફરીથી એક મજબૂત ઈઝરાયલ બનાવી શકીએ." ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલમાં આ વિરોધ પ્રદર્શનો ચાલુ છે.
ગાઝામાં યુદ્ધવિરામની માંગ
વર્ષ-2023માં હમાસે ઈઝરાયલ પર હુમલો કરી 1,200 લોકોની હત્યા હતી. એટલું જ નહિ 250થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા. અત્યાર સુધી અડધાથી વધુ બંધકોને છોડી દેવામાં આવ્યા છે. ઘણાના મોત થયા છે. પરંતુ હદી આશરે 20 બંધકો જીવતા છે. આ કારણથી માર્ગો પર પ્રદર્શનકારીઓનો રોષ સતત વધી રહ્યો છે અને લોકો યુદ્ધવિરામની માંગણી કરી રહ્યા છે.

