સી.પી.રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર હોવાની જેપી નડ્ડાએ કરી જાહેરાત

NDA એ આજે રવિવારે 17મી ઓગસ્ટે પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે.
હાલમાં સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. જેપી નડ્ડાએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ અંતિમ સ્વરૂપ આપવા માટે ભાજપ સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી.
કોણ છે સીપી રાધાકૃષ્ણન?
ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (સીપી રાધાકૃષ્ણન), જેઓનો જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુના તિરુપુરમાં થયો હતો, તેઓ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા રહ્યા છે અને તાજેતરમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. રાધાકૃષ્ણને તેમની રાજકીય કારકિર્દી આરએસએસ અને જનસંઘથી શરૂ કરી હતી. તેઓ 1998 અને 1999માં કોઈમ્બતુરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2003થી 2006 સુધી તમિલનાડુ ભાજપ પ્રમુખ હતા.
સીપી રાધાકૃષ્ણન ફેબ્રુઆરી-2023થી જુલાઈ 2024 સુધી ઝારખંડના રાજ્યપાલ હતા. આ ઉપરાંત, તેમણે માર્ચથી જુલાઈ 2024 સુધી તેલંગાણાનો વધારાનો હવાલો અને માર્ચથી ઓગસ્ટ 2024 સુધી પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો. તેઓ 31 જુલાઈ 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે.
સીપી રાધાકૃષ્ણનનું નોંધપાત્ર કાર્ય
વર્ષ-2004-2007 દરમિયાન, તમિલનાડુ ભાજપના પ્રમુખ તરીકે, તેમણે 93 દિવસની રથયાત્રા કાઢી હતી, જેનો હેતુ નદીઓને જોડવાનો, આતંકવાદ સામે જાગૃતિ લાવવાનો અને અસ્પૃશ્યતાને નાબૂદ કરવાનો હતો. તેઓ સંસદમાં કાપડ પરની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ હતા. તેમણે નાણાકીય અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોને લગતી ઘણી સમિતિઓમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે કોઈમ્બતુરની વીઓ ચિદમ્બરમ કૉલેજમાંથી બીબીએની ડિગ્રી મેળવી હતી.

