Bangladesh: શેખ હસીનાને ફાંસી આપવાની માંગને લઈ હજારો લોકો રસ્તા પર ઉતરી વિરોધ ઠાલવ્યો

Bangladesh: ભારતના પાડોશી દેશોમાં અત્યારે અશાંતિ છે. નેપાળમાં ફરી એકવાર ઝેન-ઝી આંદોલનનો સળવળાટ શરૂ થયો છે, જ્યારે નાપાક પાકિસ્તાનમાં મોંઘવારી, ભૂખમરોને લઈ પીઓકે, બલુચિસ્તાન પ્રાંતમાં વિગ્રહ શરૂ થયો છે જ્યારે બાંગ્લાદેશમાં એકપછી ભૂકંપ અને ગત વર્ષે તોફાનો થયા હતા તેવા ફરી દ્રશ્યો સામે આવ્યા છે. ટૂંકમાં ભારતના કોઈપણ પાડોશી દેશમાં અત્યારે શાંતિ, સલામતી જ નથી. તેવામાં બાંગ્લાદેશની રાજધાની ઢાકાના માર્ગો પર એકવાર ફરી પ્રદર્શનકારીઓ ઉમટી પડયા હતા.
બાંગ્લાદેશની રાજધાની ઉપરાંત બાંગ્લાદેશના અન્ય શહેરોમાં પણ ભારે વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. હજારો લોકો પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા બાદ હવે તેને દેશમાં લાવીને ફાંસી આપવાની માંગ ઉઠી છે. હસીનાને વર્ષ-2024ના છાત્ર આંદોલન દરમ્યાન કથિત હત્યાકાંડ માટે ગત 17 નવેમ્બરે મોતની સજા ફટકારવમાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલે હસીના અને પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન કમાલને માવતા વિરુદ્ધ ગુનાઓ માટે આ સજા અપાઈ હતી. જો કે, આ દરમ્યાન હસીના કોર્ટમાં હાજર નહોતાં રહ્યાં.
BNP અને જમાત-એ-ઈસ્લામીએ વિશાળ રેલી યોજી
બાંગ્લાદેશમાં કોર્ટ દ્વારા હસીનાને મૃત્યુદંડની સજા ફટકારવાના નિર્ણય બાદ તણાવ વધી રહ્યો છે. રવિવારે, મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને ઈસ્લામિક સંગઠન જમાત-એ-ઇસ્લામીએ સંયુક્ત રેલી યોજી, હસીનાના પ્રત્યાર્પણ અને ફાંસીની માંગણીઓ વધારી. પ્રદર્શનકારીઓએ ઢાકા યુનિવર્સિટી કેમ્પસથી શાહબાગ સ્ક્વેર સુધી કૂચ કરી. વિદ્યાર્થી સંગઠનો, પીડિતોના પરિવારો અને રાજકીય પક્ષોના કાર્યકરોએ "હસીનાને ફાંસી આપો," "તેને ભારતમાંથી બહાર કાઢો," અને "ન્યાય સુનિશ્ચિત કરો" જેવા નારા લગાવ્યા. ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થી આર. રફી નામના એક પ્રદર્શનકારીએ કહ્યું, "હસીનાએ આપણા ભાઈ-બહેનોની હત્યાનો આદેશ આપ્યો. ફાંસી એ ન્યાય છે."
શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ
રેલીમાં, BNPના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઈસ્લામ આલમગીરે કહ્યું કે આ ચુકાદો "સરમુખત્યારશાહીનો અંત" દર્શાવે છે અને ભારતે "ભાગેડુ ગુંડા" ને સોંપવો જોઈએ. જમાત-એ-ઈસ્લામીના મહાસચિવ મિયાં ગુલામ પરવારે તેને "1.8 કરોડ લોકોની આકાંક્ષા" ગણાવી હતી, પરંતુ અગાઉના કેસોની તુલનામાં તેની નિષ્પક્ષતા પર ભાર મૂક્યો હતો. આ સજા જુલાઈ-ઓગસ્ટ 2024ના આંદોલનની પૃષ્ઠભૂમિ સામે આવી હતી, જ્યારે વિદ્યાર્થીઓએ સરકારી નોકરીઓમાં 30 ટકા ક્વોટા પુનઃસ્થાપિત કરવા સામે વિરોધ કર્યો હતો. હસીના સરકાર પર ગેરકાયદેસર બળનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના પરિણામે, સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, 1,400થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને 14 હજાર ઈજાગ્રસ્ત થયા હતા.
બાંગ્લાદેશમાં 2026માં ચૂંટણીઓ યોજાવાની છે
વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે ફેબ્રુઆરી 2026માં ચૂંટણીઓ યોજવાનું વચન આપ્યું હતું, પરંતુ આવામી લીગ પર પ્રતિબંધ મૂકવાથી તણાવ વધ્યો છે. હસીનાના સમર્થકો, આવામી લીગે 13-17 નવેમ્બર સુધી લોકડાઉનનું એલાન કર્યું હતું, જેના કારણે ઢાકામાં ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો અને બસો સળગાવી દેવામાં આવી હતી. રવિવારની રેલીમાં, જમાતે, અન્ય સાત પક્ષો સાથે મળીને ચૂંટણી સુધારાની માંગ કરી હતી પરંતુ અહમદિયા સમુદાયને "કાફરી" જાહેર કરતો વિવાદાસ્પદ ઠરાવ પણ રજૂ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો, જેમાં ડઝનેક લોકો ઘાયલ થયા. "મૌલિક બાંગ્લા" જૂથે શાહબાગમાં હસીનાને પ્રતીકાત્મક ફાંસી આપવાનું આયોજન કર્યું. ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ-મામુને હસીના વિરુદ્ધ જુબાની આપી પરંતુ તેમને હળવી સજા ફટકારવામાં આવી.
શેખ હસીનાએ આ ચુકાદાને રાજકીય ગણાવ્યો
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે હસીના સામેના ટ્રાયલને "અન્યાયી" ગણાવ્યો હતો, જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ ન્યાયની માંગ કરી હતી પરંતુ તેની ફાંસીનો વિરોધ કર્યો હતો. મૃત્યુદંડ મળ્યા પછી શેખ હસીનાએ તેને "રાજકીય બદલો" ગણાવ્યો હતો. નિષ્ણાતો માને છે કે અવામી લીગનો બહિષ્કાર ચૂંટણી પહેલાની અસ્થિરતામાં વધારો કરી શકે છે. પીડિતોના પરિવારોએ કહ્યું, "ફાંસી વિના ન્યાય અધૂરો છે." BNP અને જમાત દ્વારા રેલીઓએ એકતા દર્શાવી, પરંતુ ઈસ્લામિક ઉગ્રવાદના આરોપોએ જટિલતામાં વધારો કર્યો.

