Flight Cancellation: ટ્રેન કે બસની જેમ છેલ્લી ઘડીએ ફલાઈટ કેન્સલ કરતા હવે મળશે રિફંડ, નિયમો જાણી લો

Flight Cancellation: જો તમે ફ્લાઈટના થોડા કલાકો પહેલાં ટિકિટ કેન્સલ કરો છો અને સમગ્ર ભાડું ગુમાવવાનો ડર સતાવે છે, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. મુસાફરોને મોટી રાહત આપવા માટે ભારત સરકાર આગામી બેથી ત્રણ મહિનામાં એર ટિકિટમાં 'બિલ્ટ-ઈન ટ્રાવેલ ઈન્શ્યૉરન્સ'નો સમાવેશ કરવાની તૈયારી કરી રહી છે. આ યોજના લાગુ થતાં મુસાફરો અચાનક ટિકિટ કેન્સલ થવાના કિસ્સામાં તેમના ભાડાના 80% સુધીનું રિફંડ મેળવી શકશે.
પ્રીમિયમનો બોજ મુસાફરો પર નહીં, એરલાઈન્સ ઉઠાવશે
સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ વીમા યોજના માટેનું પ્રીમિયમ મુસાફરો પાસેથી લેવામાં આવશે નહીં, પરંતુ તે એરલાઇન્સ દ્વારા ઉઠાવવામાં આવશે. હાલમાં, ફ્લાઇટના ત્રણ કલાકની અંદર ટિકિટ કેન્સલ કરવાને 'નો-શો' ગણવામાં આવે છે અને કોઈ રિફંડ આપવામાં આવતું નથી. માત્ર મેડિકલ ઈમરજન્સીના કેટલાક કિસ્સાઓમાં જ એરલાઇન્સ તેમના વિવેકબુદ્ધિથી સંપૂર્ણ રિફંડ આપે છે.
ઉડ્ડયન સચિવ આ યોજના મુસાફરોને કોઈપણ વધારાના ખર્ચ વિના ઉપલબ્ધ કરાવવા માટે એરલાઈન્સ સાથે ચર્ચા કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, પ્રતિ ટિકિટ આશરે 50 રૂપિયાનું પ્રીમિયમ આ યોજનાને ટકાઉ બનાવી શકે છે. એક વરિષ્ઠ એરલાઇન અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમે એ શોધી રહ્યા છીએ કે શું વીમાને સૌથી ઓછા ભાડાની શ્રેણીમાં ઉમેરી શકાય જેથી મુસાફરોને થોડું રિફંડ મળી શકે.'
DGCA પણ રિફંડ નિયમોને વધુ ગ્રાહકલક્ષી બનાવશે
મુસાફરો તરફથી વિલંબિત રિફંડ, ઓછા રિફંડ અને રિફંડના નામે 'ક્રેડિટ શેલ' (ભવિષ્યની મુસાફરી માટે ક્રેડિટ) જેવા મુદ્દે વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) પણ તેના રિફંડ નિયમોને વધુ મુસાફરો-મૈત્રીપૂર્ણ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. મુસાફરોના હિતોનું રક્ષણ કરવા માટે લઘુત્તમ રિફંડ ધોરણો નક્કી કરવા જરૂરી બન્યા છે.
ઉલ્લેથનીય છે કે, ઈન્સ્યોરન્સ કંપનીઓ ઐતિહાસિક ડેટાના આધારે આ જોખમને મૂલવશે, પરંતુ ઓછી સંખ્યામાં વાસ્તવિક કેન્સલના કારણે આ યોજના અમલમાં મૂકવી શક્ય બનશે.

