VIDEO: પાટા પરથી ઉતરી ગયો વંદે ભારત એક્સપ્રેસનો કોચ, સદ્દનસીબે મુસાફર સુરક્ષિત રહ્યા
મહારાષ્ટ્રના પુણે રેલ્વે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ટળી છે. જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ -સોલાપુર વંદે ભારત એક્સપ્રેસનો કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. મુસાફરોએ જણાવ્યું કે, ટ્રેન 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી હતી, ત્યારે અચાનક બ્રેક લાગી અને કોચ પાટા પરથી ઉતરી ગયો.
વંદે ભારત ટ્રેન પુણે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ તરફ આવી રહી હતી ત્યારે ડાયમંડ ક્રોસિંગ પર ટ્રેનના ચોથા કોચની ટ્રોલી પાટા પરથી લપસી ગઈ. આના કારણે ટ્રેન અચાનક ધ્રુજારી સાથે રોકાઈ ગઈ. મુસાફરોએ અચાનક આંચકો અનુભવ્યો હતો. જોકે, મુસાફરને કોઈ ઈજા થઈ નથી અને તમામ લોકો સુરક્ષિત છે.
મુસાફરોએ જણાવ્યું કે, ટ્રેન 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી હતી, ત્યારે અચાનક બ્રેક લાગી અને કોચ પાટા પરથી ઉતરી ગયો. સેન્ટ્રલ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી કે કોઈને ઈજા થઈ નથી. મુસાફરોની સુવિધા માટે તાત્કાલિક બીજા રેકની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને નવી ટ્રેનમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના પુણે સ્ટેશનના જટિલ ડાયમંડ ક્રોસિંગને કારણે બની હોવાનું પ્રારંભિક અહેવાલોમાં જણાયું છે. સેન્ટ્રલ રેલ્વેએ જણાવ્યું કે, યાર્ડ રિમોડેલિંગ યોજના હેઠળ આ ક્રોસિંગને અપગ્રેડ કરવાનું પહેલેથી જ નક્કી કરવામાં આવ્યું હતું. જેને હવે તાત્કાલિક અમલમાં મૂકવામાં આવશે. રેલ્વેએ દેશભરના તમામ બિન-માનક ડાયમંડ ક્રોસિંગને ઓળખીને તેને બદલવાના આદેશો જારી કર્યા છે.

