VIDEO: ગરમીના કારણે શિક્ષકોના મૃત્યુ, કથિત રીતે બીમારી હોવા છતાં વસ્તી ગણતરીનું કામ કરતા મોત થયાનો આરોપ
ઓડિશામાં વસ્તી ગણતરીના કામ દરમિયાન કથિત રીતે ગરમીના કારણે બે શાળા શિક્ષકોના મૃત્યુની ઘટનાઓ સામે આવી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. મૃતક શિક્ષકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, બીમારી હોવા છતાં કામ ચાલુ રાખવા દબાણ કરાયું હતું.
ઓડિશાના મયુરભંજ અને સુંદરગઢ જિલ્લામાં બનેલી આ અલગ અલગ ઘટનાઓમાં બે દિવસમાં બે શિક્ષકો કથિત રીતે સનસ્ટ્રોક એટલે કે લુ લાગવાથી મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે. આ રાજ્યમાં વસ્તી ગણતરી ફરજ દરમિયાનની ત્રીજી મૃત્યુ ઘટના છે. મયુરભંજ જિલ્લાના બેટનોટી બ્લોકમાં વૈદ્યનાથ હાઈસ્કૂલના શિક્ષક રાજકપુર હેમ્બ્રમ વસ્તી ગણતરી માટે ઘરે-ઘરે સર્વે કરીને પાછા ફર્યા બાદ અસ્વસ્થ થઈ ગયા હતા. તેમને બારીપાડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સાંજે તેમનું મૃત્યુ થયું.
બીજી ઘટનામાં સુંદરગઢ જિલ્લાના ગુરુંડિયા બ્લોકના જરાડા સરકારી હાઈસ્કૂલના શિક્ષક અનુરાગ એક્કા શનિવારે વસ્તી ગણતરીની ફરજ દરમિયાન બીમાર પડ્યા અને તે જ દિવસે તેમનું મૃત્યુ થયું. મૃતક શિક્ષકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, તેમણે અધિકારીઓને બીમારી હોવા છતાં કામ ચાલુ રાખવા માટેના દબાણ વિશે જાણ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, સંબંધિત જિલ્લા કલેક્ટર આ બાબતની તપાસ કરી રહ્યા છે. રાજ્ય સરકારે વસ્તી ગણતરી કર્મચારીઓ માટે ખાસ SOP જારી કરી છે, જેમાં સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી કામ ન કરવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

