VIDEO: લિવ-ઈન સંબંધ અંગે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, "સંબંધ તૂટ્યા પછી મહિલા પુરુષ પર દુષ્કર્મનો આરોપ લગાવે છે"
સુપ્રીમ કોર્ટે લિવ-ઈન સંબંધમાં રહેતા દંપતિ અંગે મહત્વપૂર્ણ અવલોકનો કર્યો છે. એક કેસમાં મહિલાએ તેના લિવ-ઈન પાર્ટનર પર લગ્નનું ખોટું વચન આપીને દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો હતો. બંને લાંબા સમયથી સાથે રહેતા હતા અને તેમને એક બાળક પણ છે.
સુપ્રીમ કોર્ટના એકમાત્ર મહિલા ન્યાયાધીશ જસ્ટિસ બી વી નાગરત્નાની બેન્ચે સુનાવણી દરમિયાન પૂછ્યું કે, મહિલા લગ્ન પહેલાં આરોપી સાથે કેમ રહેતી હતી. કોર્ટે નોંધ્યું કે જો સંબંધ સંમતિથી હોય અને લાંબા સમય સુધી ચાલે તો અલગ થવાને આપમેળે ફોજદારી ગુનો ગણી શકાય નહિ. ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું કે, લિવ-ઇન સંબંધોમાં આવું વારંવાર બને છે. સંબંધ તૂટ્યા પછી મહિલા પુરુષ પર દુષ્કર્મનો આરોપ લગાવે છે, જ્યારે શરૂઆતમાં સંમતિ હતી.
તેમણે કહ્યું કે, છેતરપિંડી થઈ હોય તો મહિલા સાથે સહાનુભૂતિ છે, પરંતુ તેને ફોજદારી કેસમાં બદલી શકાય નહિ. કોર્ટે સૂચવ્યું કે મહિલા બાળક માટે ભરણપોષણ મેળવી શકે છે અને બંને પક્ષો મધ્યસ્થી દ્વારા મામલો ઉકેલી શકે છે. બાળકને ગેરકાયદેસર ગણી શકાય નહિ. ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે, મહિલા 18 વર્ષની ઉંમરે વિધવા થઈ ગઈ હતી. ત્યારબાદ તે આરોપીના સંપર્કમાં આવી. આરોપીએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું અને તેઓ સાથે રહેવા લાગ્યા. પાછળથી એવું જાણવા મળ્યું કે આરોપી પહેલાથી જ પરિણીત હતો, જેની મહિલાને ખબર નહોતી.

