VIDEO: ચૂંટણી પંચે જારી કર્યું પશ્ચિમ બંગાળમાં નવી વિધાનસભાની રચના માટે જાહેરનામું
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યા બાદ પણ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇન્કાર કરી દીધો છે. તેમણે ચૂંટણીમાં ગોટાળા અને મતચોરીના આરોપ લગાવતા કહ્યું કે, પરિણામો વાસ્તવિક જનાદેશને પ્રતિબિંબિત કરતા નથી.
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં નવી વિધાનસભાની રચના માટે જાહેરનામું જારી કર્યું છે. આ જાહેરનામું રાજ્યપાલને મોકલવામાં આવ્યું છે. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ બંધારણીય નિર્ણય છે જે નવી સરકારની રચનાની પ્રક્રિયાને આગળ વધારે છે. તેમણે કહ્યું કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત ન્યાયી અને પારદર્શક રીતે પૂરી થઈ છે.
મમતાએ કહ્યું કે, હું રાજીનામું આપવા રાજભવન જઈશ નહીં. અમે ખરેખર હાર્યા નથી. આ નિવેદન બાદ રાજકીય વિવાદ વધ્યો છે. ભાજપના સાંસદ ઉજ્જવલ નિકમે આને મડાગાંઠ ઊભી કરવાનો પ્રયાસ ગણાવ્યો. નિષ્ણાતો અને બંધારણીય વિદ્વાનોએ કહ્યું કે, મમતાએ રાજીનામું આપવું જોઈએ.
પૂર્વ લોકસભા મહાસચિવ પીડીટી. આચાર્યે જણાવ્યું કે, નવા મુખ્યમંત્રીના શપથ લીધા પછી મમતા પાસે પદ છોડવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહિ. વરિષ્ઠ વકીલ અજિત સિન્હાએ કહ્યું કે, એક રાજ્યમાં બે મુખ્યમંત્રી હોઈ શકે નહીં. હાલની વિધાનસભાનો કાર્યકાળ 7 મેના રોજ સમાપ્ત થાય છે. નિષ્ણાતોના મતે રાજ્યપાલ નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે, જેના પછી મમતાનો કાર્યકાળ આપમેળે સમાપ્ત થઈ જશે. આ ઘટનાક્રમે પશ્ચિમ બંગાળમાં રાજકીય અનિશ્ચિતતા વધારી દીધી છે.

