VIDEO: ANDARNI VAAT / ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીનું રૌદ્ર સ્વરૂપ, રામઘાટ પાણી-પાણી, અનેક મંદિરો પૂરમાં ગરકાવ!
મધ્યપ્રદેશના ધાર્મિક નગરી ઉજ્જૈનમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદના કારણે પવિત્ર ક્ષિપ્રા નદીના જળસ્તરમાં જોરદાર ઉછાળો આવ્યો છે. નદીનું પાણી ભયજનક સપાટી વટાવીને વહી રહ્યું હોવાથી ઉજ્જૈનના પ્રસિદ્ધ અને ઐતિહાસિક રામઘાટની આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂરના ધસમસતા પાણી ઘાટ પર ફરી વળવાના કારણે નદી કિનારે આવેલા નાના-મોટા અનેક મંદિરો અડધાથી વધુ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ આકાશી આફતના લીધે ઘાટ પરની રોજીંદી ધાર્મિક પ્રવૃત્તિઓ અને પૂજા-આરતીના કાર્યક્રમો પર પણ માઠી અસર પહોંચી છે..
પરિસ્થિતિની ગંભીરતાને જોતાં સ્થાનિક પ્રશાસન અને હોમગાર્ડની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. રામઘાટ તરફ જતા તમામ રસ્તાઓ પર બેરિકેડ્સ લગાવીને શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની અવરજવર પર અસ્થાયી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. નદીના તેજ પ્રવાહને ધ્યાનમાં રાખીને ઘાટ પર વિશેષ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ લાઉડસ્પીકર દ્વારા લોકોને પાણીથી દૂર રહેવા અને સાવચેતી રાખવા સતત સૂચના આપી રહ્યા છે. તંત્ર દ્વારા સમગ્ર નદી કિનારાના નીચાણવાળા વિસ્તારો પર ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટનાને રોકી શકાય..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

