VIDEO: ANDARNI VAAT / બદ્રીનાથ ધામમાં આસ્થા સાથે ખિલાડ? મંદિર સમિતિ પર લાગ્યા દાન ચોરીના સળગતા આક્ષેપો!
ઉત્તરાખંડના પવિત્ર ચારધામોમાંના એક એવા વિશ્વપ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાંથી એક અત્યંત ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. ભગવાન બદ્રીવિશાલના ભવ્ય મંદિરનું સંચાલન કરતી સંસ્થા બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ એટલે કે બીકેટીસીના કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ પર શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવતા દાન-દક્ષિણાની ચોરી કરવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. આરોપ છે કે મંદિરમાં આવતા ગુપ્ત દાન અને કીમતી સામગ્રીની ગણતરી અને વ્યવસ્થાપનમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી રહી છે. આ સનાતન આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર ધામમાં દાનની રકમની અફરાતફરીના અહેવાલો વહેતા થતાં જ સ્થાનિક લોકો, પંડા-પુરોહિતો અને દેશભરમાંથી આવતા કરોડો શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે અને સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે..
આ ગંભીર આક્ષેપો બાદ મંદિર સમિતિની પારદર્શિતા સામે સવાલો ઉઠ્યા છે.. મામલાની ગંભીરતાને જોતાં વિપક્ષી દળો અને સ્થાનિક સંગઠનો દ્વારા આ સમગ્ર કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ તેજ બની ગઈ છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે શ્રદ્ધા સાથે થતી આવી છેતરપિંડી સાંખી લેવામાં નહીં આવે. બીજી તરફ, BKTC ના વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આક્ષેપોની તટસ્થ તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ દોષિત સાબિત થશે તો તેની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. હાલમાં આ વિવાદને કારણે બદ્રીનાથ ધામના તીર્થક્ષેત્રમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

