VIDEO: ANDARNI VAAT / સુરતમાં પૂર પીડિતોના વહારે સરકાર, અસરગ્રસ્ત પરિવારોને મળી રહી છે ₹૬,૮૦૦ની આર્થિક સહાય!
સુરત શહેર અને જિલ્લામાં ૬ અને ૭ તારીખે પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં મોટા પાયે નુકસાન થયું હતું. પૂર અસરગ્રસ્ત પરિવારોને રાહત આપવા માટે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક સહાય જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રતિ પરિવાર ૧૮૦૦ કેશ ડોલ અને ૫૦૦૦ ઘરવખરી સહાય મળીને કુલ ૬૮૦૦ ચૂકવવામાં આવી રહ્યા છે. સુરત કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ૬ તાલુકાઓમાં ૧૦૦થી વધુ સર્વે ટીમો બનાવીને સહાય વિતરણની કામગીરી હાથ ધરાઈ છે. આ ઝુંબેશ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પ્રાથમિકતા આપીને ડોર-ટૂ-ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે. પૂર પીડિતો સુધી ઝડપથી સહાય પહોંચાડવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
પૂણા તાલુકાના તહસીલદાર સુનિલ વાણિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પૂણા વિસ્તારમાં ૧૭ ટીમો ચોવીસે કલાક કાર્યરત રહીને નુકસાનીનો સર્વે કરી રહી છે. પૂણા તાલુકામાં અત્યાર સુધીમાં આશરે ૨૫૮૦થી વધુ પૂર અસરગ્રસ્ત પરિવારોને અંદાજે ૮૦ લાખ જેટલી સહાય રકમનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે પૂર્ણ કરી લેવાયો છે અને બાકી રહેલા વિસ્તારોમાં પણ ઝડપથી નુકસાનીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રની ટીમો ઘરે-ઘરે જઈને આંકડા એકત્રિત કરવામાં વ્યસ્ત જોવા મળે છે.. સરકાર અને સ્થાનિક તંત્રના આ આગોતરા આયોજનથી પૂર અસરગ્રસ્ત લોકોને મોટી આર્થિક રાહત મળી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

