VIDEO: ANDARNI VAAT / બારીપદામાં દ્વિતીય શ્રીક્ષેત્ર રથયાત્રાનો થનગનાટ, રાત-દિવસ એક કરી રહ્યા છે ૫૦ થી વધુ કારીગરો!
ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં આવેલા બારીપદા ખાતે દ્વિતીય શ્રીક્ષેત્ર તરીકે ઓળખાતી અને દેશભરમાં પ્રતિષ્ઠિત એવી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. જગન્નાથ મંદિરના ચિત્રકાર અને સેવક સુપુન સિંહે આગામી રથોત્સવને લઈને ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, વચગાળામાં પડેલા વરસાદના કારણે રથ નિર્માણની કામગીરીમાં થોડો વિલંબ જરૂર થયો હતો, પરંતુ હવે તમામ કલાકારો આગામી ૧૬ તારીખ સુધીમાં નિર્ધારિત કાર્યો પૂર્ણ કરવા માટે અથાણ મહેનત કરી રહ્યા છે. રથના તોતિંગ પૈડાંઓ અને મુખ્ય માળખા પર પરંપરાગત રંગરોગાન તેમજ આકર્ષક ચિત્રકામની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથો નયનરમ્ય દેખાય.
આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવને સફળ બનાવવા માટે કલાકારો અને શ્રમિકોની આખી ફોજ દિવસ-રાત એક કરી રહી છે. રથ નિર્માણ ટીમ સાથે જોડાયેલા સૂરજ કુમાર બેહેરા અને પ્રભાસ રંજન દેનાએ જણાવ્યું કે, પરંપરાગત પદ્ધતિઓ જાળવી રાખીને અત્યંત ચોકસાઈપૂર્વક અને ઝડપથી કામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. હાલમાં ૧૨ જેટલા મુખ્ય કલાકારો રાત-દિવસ જોયા વગર કલરકામ સંભાળી રહ્યા છે. છેલ્લા ૪ વર્ષથી આ પવિત્ર કાર્યમાં સેવા આપતા રાહુલજીના જણાવ્યા અનુસાર, રથના સંપૂર્ણ બાંધકામ, કોતરણી અને સુશોભનની કામગીરીમાં અંદાજે ૫૦ જેટલા કુશળ કારીગરો જોડાયેલા છે. સમગ્ર ટીમનું એકમાત્ર લક્ષ્ય રથયાત્રાના પાવન દિવસ પહેલાં તમામ વ્યવસ્થાઓને આદર્શ રીતે સજ્જ કરવાનું છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

