VIDEO: ANDAR NI VAAT/ ભારત સામે નેપાળનું વલણ નરમ! વિદેશ મંત્રીએ ભારતને ગણાવી આર્થિક મહાશક્તિ
ભારત સાથેના સીમા વિવાદ પર હવે નેપાળનું વલણ નરમ પડ્યું છે. નેપાળના વિદેશ મંત્રીએ ભારતને આર્થિક મહાશક્તિ ગણાવી, વાતચીત દ્વારા વિવાદ ઉકેલવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ભારત અને નેપાળ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા સીમા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલની ભારત મુલાકાત દરમિયાન તેમના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે નેપાળ હવે અગાઉના કઠોર વલણને બદલે ભારત સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો ઈચ્છે છે. ખનાલે ભારતને એક મોટી આર્થિક અને તકનીકી શક્તિ તરીકે સ્વીકારતા જણાવ્યું હતું કે, નેપાળ ભારતને હવે કોઈ પણ રીતે વિરોધી દેશ તરીકે જોતું નથી. લિપુલેખ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર નેપાળ હવે જૂની વાતોમાં બંધાયેલા રહેવાને બદલે દ્વિપક્ષીય મંચ પર ખુલ્લા મનથી ચર્ચા કરવા તૈયાર છે. નોંધનીય છે કે, અગાઉ નેપાળના નેતાઓની કેટલીક ટિપ્પણીઓને કારણે સંબંધોમાં તણાવ સર્જાયો હતો, પરંતુ હવે વિદેશ મંત્રીના નિવેદનો પરથી લાગે છે કે નેપાળની નવી સરકાર ભારત સાથેના સંબંધોને ફરી પાટા પર લાવવા માંગે છે.
ભારત સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે બંને દેશો વચ્ચેના વિવાદો ઉકેલવા માટે સ્થાપિત દ્વિપક્ષીય તંત્ર પૂરતું છે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાની જરૂર નથી. માનસરોવર-કૈલાશ યાત્રા માટે મહત્વપૂર્ણ ગણાતા લિપુલેખ મુદ્દે પણ તથ્યો અને આંકડાઓના આધારે વાતચીત કરવા નેપાળની તૈયારી એ એક સકારાત્મક સંકેત છે. આમ, સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોની મજબૂત પૃષ્ઠભૂમિ પર આધારિત ભારત-નેપાળના દ્વિપક્ષીય સંબંધો ફરી એકવાર વધુ મજબૂત અને પરસ્પર લાભદાયી દિશામાં આગળ વધી રહ્યા હોય તેવું જણાય છે.

