VIDEO: ANDAR NI VAAT/ ઓડિશાના પૂરીમાં રથ નિર્માણનું કામ પૂર્ણ, સેવકો દ્વારા વસ્ત્રાભૂષણનું કામ તેજ
વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા પૂર્વે ઓડિશાના પવિત્ર ધામ પુરીમાં તડામાર તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. મહાપ્રભુ જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ત્રણેય ભવ્ય રથો બનાવવાનું મુખ્ય પરંપરાગત કાર્ય હવે સત્તાવાર રીતે પૂર્ણ થઈ ચૂક્યું છે. રથનિર્માણ સંપન્ન થતાં જ રથના શિખર ભાગ પર પવિત્ર કળશ અને ઉલટા સ્થાપિત કરવાની ધાર્મિક વિધિ ભક્તિમય માહોલમાં સંપન્ન કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર અને રથખેલો 'જય જગન્નાથ' અને 'હરિબોલ'ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આ પવિત્ર વિધિ પૂર્ણ થતાંની સાથે જ ત્રણેય રથો પોતાના દિવ્ય સ્વરૂપમાં નજરે પડી રહ્યા છે અને હવે આ આખા વર્ષના સૌથી મોટા ઉત્સવ માટે ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે.
બીજી તરફ, રથોને દિવ્ય અને આકર્ષક દેખાવ આપવા માટે 'દરજી સેવકો જેમને દરજી મહારાણા તરીકે ઓળખવામાં આવે છે. રાત દિવસ એક કરીને પોતાની સેવા આપી રહ્યા છે. રથોના બાહ્ય આવરણ અને સજાવટ માટેના વિશેષ કાપડ, જેને સ્થાનિક પરંપરામાં 'ચિરોટ' કહેવામાં આવે છે, તેને તૈયાર કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના ત્રણેય વિશાળ રથોને ઢાંકવા અને સજાવવા માટે સેંકડો મીટર કાપડ વપરાય છે. આ કાપડને ચોક્કસ માપ અને ડિઝાઇનમાં સીવવાનું કામ આ દરજી સેવકો પેઢીઓથી કરે છે. આ દરજી સેવકો પરંપરાગત નિયમો અને ચોક્કસ માપદંડો અનુસાર લાલ, પીળા, લીલા અને કાળા રંગના સેંકડો મીટર કાપડને જોડીને રથના વસ્ત્રો તૈયાર કરી રહ્યા છે. આ કાપડ પર પરંપરાગત ઓડિસી કળા અને ધાર્મિક પ્રતીકોની સુંદર સજાવટ તથા ભરતકામ કરવામાં આવી રહ્યું છે, જે રથોની શોભામાં અભિવૃદ્ધિ કરશે. સદીઓ જૂની આ પરંપરા મુજબ, દરજી સેવકો આ કાર્યને માત્ર વ્યવસાય નહીં પરંતુ મહાપ્રભુની સર્વોચ્ચ ભક્તિ અને પરમ સેવા માનીને અત્યંત પવિત્રતાપૂર્વક પૂર્ણ કરી રહ્યા છે, જેથી નિર્ધારિત સમયે ત્રણેય રથો સંપૂર્ણપણે સજી-ધજીને રાજમાર્ગ પર આવવા માટે તૈયાર થઈ જાય.
બ્યુરો રિપોર્ટ જીએસટીવી

