VIDEO: ANDAR NI VAAT/ બદ્રીનાથ મંદિર દાન ચોરી કેસમાં તપાસ તેજ, સીસીટીવી ફુટેજથી થશે મોટા ખુલસા
ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ ચમોલી જિલ્લામાં આવેલા ભગવાન બદ્રીનાથ મંદિરના દાન ચોરીના હાઈપ્રોફાઈલ કેસમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. અયોધ્યા રામ મંદિરના દાન વિવાદ બાદ હવે કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમાન બદ્રીનાથ ધામમાં દાનની રકમમાં મોટા પાયે ગોટાળા અને ચોરીની ઘટના સામે આવતા સનસનાટી મચી ગઈ છે. આ સંવેદનશીલ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ગઠિત કરવામાં આવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ રૂબરૂ બદ્રીનાથ મંદિર પરિસરમાં પહોંચી ચૂકી છે. એસઆઈટીની ટીમે મંદિરના વહીવટી તંત્રના વરિષ્ઠ કર્મચારીઓ, સેવાધારીઓ અને મુખ્ય પૂજારીઓ સાથે કલાકો સુધી બંધ બારણે સઘન પૂછપરછ હાથ ધરી છે. આ ભક્તિધામમાં દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવીને કરોડો રૂપિયાનું ગુપ્ત દાન અને સોના-ચાંદીની સામગ્રી અર્પણ કરતા હોય છે. આ પવિત્ર દાનની રકમમાં અંદરના જ લોકો દ્વારા આયોજનબદ્ધ રીતે હેરાફેરી કરવામાં આવી હોવાના અહેવાલોથી સમગ્ર ચમોલી સહિત દેશભરના શ્રદ્ધાળુઓમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ કેસમાં અત્યાર સુધી થયેલી તપાસ અને લેટેસ્ટ અપડેટ્સ મુજબ, એસઆઈટીની ટીમે મંદિરની દાનપેટીઓ ખોલવાના સમયના સીસીટીવી ફૂટેજ, છેલ્લા કેટલાક મહિનાના દાનના ચોપડા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ્સ પોતાના કબજામાં લીધા છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે કે, દાન ગણતરીની પ્રક્રિયા દરમિયાન સુરક્ષા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને કેટલીક શંકાસ્પદ રોકડ રકમ બેંક ખાતામાં જમા કરાવવાને બદલે સગેવગે કરી દેવામાં આવી હતી. તપાસ ટીમ હવે મંદિર સમિતિના શંકાસ્પદ કર્મચારીઓના વ્યક્તિગત બેંક ખાતા અને તેમની અસ્કયામતોની પણ તપાસ કરી રહી છે. લાખો ભક્તોની આસ્થા અને પરસેવાની કમાણીના દાન સાથે રમત રમનારા મુખ્ય સૂત્રધારોને પકડવા માટે એસઆઈટી દ્વારા કાનૂની સકંજો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. ચમોલી પ્રશાસને ખાતરી આપી છે કે આ કેસમાં ગમે તેટલી વગ ધરાવતો ગુનેગાર હશે, તેને બક્ષવામાં નહીં આવે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં એસઆઈટી કયા મોટા માથાની ધરપકડ કરીને આ આખા કૌભાંડનો પર્દાફાશ કરે છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી

