VIDEO: ANDAR NI VAAT/ રામ મંદીર બાદ બદ્રીનાથધામમાં કથિત ચંદાચોરીની ઘટનાથી ભક્તોમાં ભારે રોષ
રામ મંદિરમાં દાન ચોરીની ઘટના પર ભક્તોમાં ભારે રોષ છે જેની વચ્ચે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં દાનપાત્રમાં કથિત ચોરી અને આર્થિક ગેરરીતિ પર સવાલ ઉઠી રહ્યા છે. પવિત્ર બદ્રીનાથ ધામમાં ભક્તોની આસ્થા સાથે જોડાયેલા દાનપાત્રમાં કથિત ચોરી અને આર્થિક ગેરરીતિનો ચોંકાવનારો મામલો સામે આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ ના નિયંત્રણ હેઠળના આ મંદિરમાં દાન તરીકે આવતી લાખો રૂપિયાની રકમની હેરાફેરી થતી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. પ્રાથમિક તપાસમાં દાનપાત્ર ખોલતી વખતે જે રકમની ગણતરી કરવામાં આવી હતી. તેમાં સરકારી હિસાબો અને વાસ્તવિક જમા રકમ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે. આ વિસંગતતા સામે આવતા જ મંદિરની પવિત્રતા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું છે. સીસીટીવી ફૂટેજમાં કેટલીક શંકાસ્પદ હિલચાલ નજરે પડતા તપાસનું કેન્દ્ર મંદિરના જ કર્મચારીઓ અને વહીવટી તંત્રના જવાબદાર લોકો તરફ વળ્યું છે. આ ઘટનાને પગલે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મંદિરની નાણાકીય પારદર્શિતા સામે સવાલો ઉઠી રહ્યા છે.
આ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં કેટલાક કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. સ્થાનિક તીર્થ પુરોહિતો અને શ્રદ્ધાળુઓએ આ ઘટનાને ભગવાનના દરબારમાં થયેલી અક્ષમ્ય ચોરી ગણાવીને ઉચ્ચ સ્તરીય તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે હવે મંદિર સમિતિએ સુરક્ષા વ્યવસ્થામાં ધરખમ ફેરફારો કર્યા છે. હવેથી મંદિરના તમામ દાનપાત્રો પર 24 કલાક સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે અને દાનની રકમની ગણતરી કરતી વખતે ફરજિયાત વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ ઉપરાંત, મંદિરના તમામ હિસાબોનું ઓડિટ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં પોલીસ કેસ નોંધાઈ ચૂક્યો છે અને વહીવટી તંત્ર દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ બદ્રીનાથ ધામમાં થયેલી આ કથિત ગેરરીતિએ મંદિરના વહીવટમાં સખત નિયમો અને નવી નીતિઓની અનિવાર્યતા સાબિત કરી દીધી છે. ભક્તો અત્યારે માત્ર આશા રાખી રહ્યા છે કે તપાસમાં સત્ય બહાર આવે અને ભવિષ્યમાં આવી પવિત્ર જગ્યાએ ફરી ક્યારેય આર્થિક ગેરરીતિ ન થાય.

