VIDEO: ANDAR NI VAAT/ પુરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રાની ભવ્ય તૈયારીઓ, રથ નિર્માણનું કાર્ય અંતિમ તબક્કામાં
ઓડિશાના પવિત્ર યાત્રાધામ પુરીમાં વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને હવે ગણતરીના દિવેસો બાકી છે. દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે પરંપરાગત ઉત્સવ માટે પુરીના બડા દંડા એટલે કે મુખ્ય માર્ગ પર ત્રણેય વિશાળ રથો બનાવવાની તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. દર વર્ષની જેમ પવિત્ર દેવસ્નાન પૂર્ણિમા એટલે કે જળયાત્રા સંપન્ન થયા બાદથી જ રથ નિર્માણનું આ મહાકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી માટેના આ ત્રણેય રથો કાયદાકીય ધાર્મિક વિધિઓ અને શાસ્ત્રોક્ત માપદંડો મુજબ પરંપરાગત નકશીકામ સાથે તૈયાર કરવામાં આવી રહ્યા છે. મુખ્ય કારીગરો જેમને મહારાણાઓ કહવામાં આવે છે તેઓ અને તેમના સહયોગીઓ કોઈ પણ આધુનિક મશીનરીના ઉપયોગ વિના, કેવળ હસ્તકલા અને સદીઓ જૂની તકનીક દ્વારા દિવસ રાત એક કરીને આ ભવ્ય રથોને આખરી ઓપ આપી રહ્યા છે. આ ભવ્ય રથને રથયાત્રાના દિવસે ખેંચવા માટે ભક્તો પડાપડી કરતા હોય છે.
આ વર્ષે પણ પુરીની પવિત્ર ધરતી પર ભક્તિમય અને અદભુત માહોલ સર્જાયો છે. શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્ર અને ઓડિશા સરકાર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકો યોજીને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજીના નંદીઘોષ, ભગવાન બલભદ્રના તાલધ્વજ અને દેવી સુભદ્રાના દર્પદલન રથના પૈડાંથી લઈને તેના શિખર સુધીના બાંધકામને ચકાસવામાં આવી રહ્યું છે. પુરીની સડકો પર જ્યાં જુઓ ત્યાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે. ભક્તો રથ નિર્માણના સ્થળની મુલાકાત લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. મહાપ્રભુ જ્યારે તેમના ગર્ભગૃહમાંથી બહાર આવીને સમગ્ર વિશ્વને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે, તે અલૌકિક ક્ષણને પોતાની આંખોમાં કેદ કરવા માટે કરોડો ભક્તો આતુર બન્યા છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી

