VIDEO : પુરીમાં રથયાત્રા ૨૦૨૬નો થનગનાટ
પુરીમાં આગામી જગન્નાથ રથયાત્રાને લઈને રથ નિર્માણની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.. મંદિરના મુખ્ય વહીવટકર્તા અરવિંદ કુમાર પાઢી અને કલેક્ટર દિવ્યજ્યોતિ પરિદાની દેખરેખ હેઠળ ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે વહીવટીતંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે..
ઓડિશાના પવિત્ર યાત્રાધામ પુરીમાં વિશ્વપ્રસિદ્ધ શ્રી જગન્નાથ રથયાત્રા ૨૦૨૬ના ભવ્ય આયોજનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અખાત્રીજના પાવન દિવસથી શરૂ થયેલી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દિવ્ય રથોના નિર્માણની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. પરંપરાગત કારીગરો અને સુથારો દ્વારા રાત-દિવસ એક કરીને પવિત્ર લાકડામાંથી ત્રણેય ભવ્ય રથોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા અને ટેલિવિઝન માધ્યમો પર આ રથ નિર્માણની કળા, વ્હીલ ફિટિંગ અને રંગરોગાનની ઝીણવટભરી કામગીરીના મનમોહક દ્રશ્યો વાયરલ થયા છે, જેને જોઈને દેશભરના ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે. ચોમાસાની શરૂઆત સાથે જ પુરીની પવિત્ર ધરતી પર ભક્તિનો અનોખો રંગ ચડ્યો છે.
આ ભવ્ય મહોત્સવને નિર્વિઘ્ને સંપન્ન કરવા માટે શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્રના મુખ્ય વહીવટકર્તા અરવિંદ કુમાર પાઢી અને પુરીના કલેક્ટર દિવ્યજ્યોતિ પરિદા દ્વારા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી છે. તેમણે મીડિયા સમક્ષ રથયાત્રાના રૂટ, ભક્તો માટે પીવાના પાણી, સ્વાસ્થ્ય સુવિધાઓ અને કાયદો-વ્યવસ્થા અંગેની સંપૂર્ણ રૂપરેખા રજૂ કરી હતી. આ સાથે જ લાખોની મેદનીને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા કરાયેલા ચુસ્ત આયોજનથી સ્થાનિકો અને દર્શનાર્થીઓએ પણ મોટો સંતોષ વ્યક્ત કર્યો છે. રથયાત્રાના પર્વને ગણતરીના દિવસો જ બાકી હોવાથી સમગ્ર પુરી નગરી જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠી છે અને ભક્તો પ્રભુના દર્શન કરવા આતુર બન્યા છે..

