VIDEO: નિવૃત્તિના વર્ષો બાદ છલકાયું યુવરાજ સિંહનું દર્દ, કહ્યું- 'કોચ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીએ સ્પષ્ટતા ન...'
2011ના વર્લ્ડ કપમાં હીરો રહેલા યુવરાજ સિંહે એક ખાનગી ઇન્ટરવ્યુમાં ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજે સંન્યાસ અંગે ખૂલીને વાત કરતા કહ્યું કે ધોની પાસેથી તેને જાણવા મળ્યું હતું કે હવે પસંદગીકારો તેના નામ પર વિચાર નથી કરી રહ્યા. આ પછી જ યુવરાજે 10 જૂન 2019ના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. ખાનગી પોડકાસ્ટમાં યુવરાજે એ પણ કહ્યું કે તે સિનિયર ખેલાડી હોવા છતાં 36-37 વર્ષની ઉંમરે જ્યારે તે ટીમની અંદર-બહાર થઈ રહ્યો હતો, ત્યારે ન તો નેશનલ ક્રિકેટ એકેડમી (NCA), ન તો કેપ્ટન વિરાટ કોહલી કે કોચ રવિ શાસ્ત્રીએ તેની સાથે સીધી વાત કરી હતી.
યુવરાજ સિંહે એક મોટો ખુલાસો કર્યો
યુવીએ તેના રિટાયરમેન્ટ પર વાત કરી કે કેવી રીતે કેપ્ટન અને કોચે તેને અધવચ્ચે છોડી દીધો હતો. યુવરાજે ખુલાસો કર્યો છે કે તેને ધોની પાસેથી ખબર પડી હતી કે હવે ટીમમાં તેની પસંદગી નહીં કરવામાં આવે. યુવીએ આ વિશે કહ્યું, "તે સમયે મને લાગ્યું કે હું વચ્ચે ફસાઈ ગયો છું. મને કંઈ સમજાતું ન હતું. મેં દેશ માટે ઘણું ક્રિકેટ રમ્યું છે, મારા માટે થોડી ઇજ્જત અને સ્પષ્ટ વાત તો બનતી હતી. પરંતુ કોઈએ મને કંઈ કહ્યું નહીં, બસ ટીમની અંદર અને બહાર કરતા રહ્યા."
ધોનીએ ફોન કરીને સ્પષ્ટ વાત કરી હતી
યુવીએ પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે માહીએ મને ફોન કર્યો અને જણાવ્યું કે હવે ટીમ મેનેજમેન્ટ મારા વિશે નથી વિચારી રહ્યું. તે સમયે ધોની ટીમનો કેપ્ટન ન હતો પરંતુ તેણે આખી પરિસ્થિતિ પર પોતાની નજર રાખી હતી. યુવીએ કહ્યું કે, "ધોની સાથે વાત થઈ જેના પછી મને સાચો રસ્તો મળ્યો હતો. માહીએ મને સ્પષ્ટ કહ્યું કે, 'હવે પસંદગીકારો તારી તરફ નથી જોઈ રહ્યા, તું તેમની યોજનાઓનો હિસ્સો નથી.' મને એ વાતનું દુઃખ છે કે કોચ અને કેપ્ટને તે સ્પષ્ટતા ન આપી જે ધોનીએ મને આપી હતી."
ફિટનેસનો હવાલો આપી નિવૃત્તિ માટે મજબૂર કરાયો
યુવરાજ સિંહે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો કે, "મારી ફિટનેસનો હવાલો આપીને મને મેનેજમેન્ટ દ્વારા નિવૃત્તિ લેવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. મને કહેવામાં આવ્યું હતું કે જો યો-યો ટેસ્ટમાં નાપાસ થશે તો તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ. તેના પર મેં તેમને જવાબ આપ્યો હતો કે, નિવૃત્તિ લેવી કે નહીં તે મારો પોતાનો નિર્ણય હશે, કોઈના કહેવા પર હું એમ નહીં કરું. મેં તેમને એમ પણ કહ્યું હતું કે ટીમમાં રમાડવો કે નહીં, તે મેનેજમેન્ટનો નિર્ણય હોવો જોઈએ, નહીં કે મારી નિવૃત્તિ વિશે નિર્ણય લેવાનો."
19 વર્ષની શાનદાર કારકિર્દી અને બે વર્લ્ડ કપ જીત
યુવરાજ સિંહે વર્ષ 2000માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને જૂન 2019માં નિવૃત્તિ લીધી હતી. તેણે ભારત માટે 304 ODI, 58 T20I અને 40 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 11,000થી વધુ રન બનાવ્યા હતા. 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

