Yashasvi Jaiswal: શુભમન ગિલ પછી હવે આ યુવા ખેલાડીની પણ કેપ્ટન બનવાની ઈચ્છા, પોડકાસ્ટમાં કહી આ વાત

થોડા જ સમયમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપમાં મોટા ફેરફાર થયા છે. જેમાં રોહિત શર્માની ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ, શુભમન ગિલને શરૂઆતમાં ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમનો અને પછી ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન હવે યુવા ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે પણ એક ટીમનો કેપ્ટન બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
"હું કેપ્ટન બનવા માંગુ છું"
જસ્વાલે રાજ શમાણી સાથેના એક પોડકાસ્ટમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં જયસ્વાલે કહ્યું હતુ કે, "હું દરરોજ મારી ફિટનેસ અને સ્કિલ પર કામ કરી રહ્યો છું. ખુદને વધુ યોગ્ય બનાવવા માટે દરરોજ પોતાના શરીર પર કામ કરવું મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે મારે હજુ પણ વધુ ફિટ થવાની જરૂર છે. હું ખુદ પર એટલું કામ કરવા માંગુ છુ કે હું એક સારો લીડર બની શકું, કારણ કે હું આવનારા સમયમાં એક ટીમનો કેપ્ટન બનવા માંગુ છું."

યશસ્વીની ક્રિકેટ કારકિર્દી પર એક નજર
ટીમ ઈન્ડિયા માટે યશસ્વી જયસ્વાલ ઓપનિંગ બેટ્સમેન તરીકે જોવા મળતો હોય છે. જયસ્વાલે ભારત માટે ટેસ્ટ, વનડે અને ટી20 ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે. જયસ્વાલે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 25 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 49.88ની સરેરાશથી 3,390 રન બનાવ્યા છે. જયસ્વાલનો ટેસ્ટમાં સર્વોચ્ચ સ્કોર 214 અણનમ છે. આ 23 વર્ષીય ભારતીય ખેલાડીએ અત્યાર સુધીમાં ફક્ત એક જ ODI મેચ રમી છે. જયસ્વાલે 23 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 36.15ની સરેરાશથી 723 રન બનાવ્યા છે. પોતાની આ ટૂંકી કારકિર્દીમાં જયસ્વાલે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં એક સદી અને પાંચ અડધી સદી ફટકારી છે.

