VIDEO: રોહિત શર્મા ફરી બનશે કેપ્ટન? હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની જગ્યાએ સાંભળશે જવાબદારી
IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યું છે. ટીમે અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાંથી ફક્ત ત્રણ જ જીતી છે, જ્યારે સાતમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. હવે, ટીમ માટે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે દરેક મેચ મહત્ત્વપૂર્ણ છે, કેપ્ટન હાર્દિક પંડ્યાની ઈજાએ ટીમની ચિંતાઓમાં વધારો કર્યો છે. તે પાછલી મેચ ચૂકી ગયો હતો અને અહેવાલો અનુસાર, RCB સામેની મેચમાંથી પણ બહાર થઈ જશે.
સૂર્યાની ભાગીદારી અંગે પણ સસ્પેન્સ છે
હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં, સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરી રહ્યો હતો. તેણે લખનૌ સામેની મેચમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું. RCB સામેની ટીમની આગામી મેચ રાયપુરમાં રમાનારી છે, અને એક અહેવાલ મુજબ, સૂર્યકુમાર યાદવ પ્રથમ બેચમાં ટીમ સાથે નહતો. તે 10 મેના રોજ RCB સામેની મેચ ચૂકી જશે તેવી શક્યતા છે.
શું રોહિત શર્મા ટીમનો કેપ્ટન બનશે?
મુંબઈ માટે સૌથી મોટો પ્રશ્ન એ રહેશે કે જો હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ આ મેચમાં નહીં રમી શકે તો ટીમનું નેતૃત્વ કોણ કરશે. રોહિત શર્માનું નામ યાદીમાં ટોચ પર છે. રોહિતે છેલ્લી મેચમાં ધમાકેદાર બેટિંગ પ્રદર્શન સાથે વાપસી કરી હતી. તેણે 84 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેના કારણે ટીમને જીત મળી હતી. તે RCB સામેની મેચમાં ટીમનું નેતૃત્વ કરતો જોવા મળી શકે છે.
હાર્દિકની ઈજા અંગે શું અપડેટ છે?
હાર્દિક પંડ્યાને કમરની તકલીફ છે, જેના કારણે તે નથી રમી શકતો. લખનૌ સામેની જીતના હીરો રયાન રિકેલ્ટને તેની ઈજા વિશે કહ્યું, "મને ખબર નથી કે તે ક્યારે પાછો ફરી શકશે. મને બપોરે જ ખબર પડી કે તેને કમરની તકલીફ છે. મને તેની ઈજાની ગંભીરતા અથવા તે કેટલો દુખાવો અનુભવી રહ્યો છે તેની ખબર નહતી. મને વિશ્વાસ છે કે તે ટૂંક સમયમાં મેદાન પર પાછો ફરશે."

