રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો ODI વર્લ્ડ કપ રમશે કે નહીં? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો ખુલાસો

શું ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027ના ODI વર્લ્ડ કપમાં રમશે? આ પ્રશ્ન દરેક ફેનના મનમાં છે. ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી રોહિત અને વિરાટ હવે ફક્ત ODI ફોર્મેટમાં જ રમે છે અને ફેન્સ તેમને 2027ના વર્લ્ડ કપમાં રમતા જોવા માંગે છે.
ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કલે કહ્યું છે કે, "રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસે અનુભવનો ભંડાર છે. ટીમમાં તેમના આગમનથી સમગ્ર વાતાવરણ બદલાઈ જાય છે. ડ્રેસિંગ રૂમમાં સકારાત્મક ઉર્જા જોવા મળે છે. બંનેએ ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જો તેઓ આ રીતે રમવાનું ચાલુ રાખે છે અને ફિટ રહે છે, તો 2027ના વર્લ્ડ કપ માટે ટીમમાં તેમન જગ્યા બની શકે છે."
આ સિવાય મોર્કલે કહ્યું, "છેલ્લા બે અઠવાડિયા અમારા માટે નિરાશાજનક રહ્યા છે, પરંતુ હવે અમારી પાસે વસ્તુઓ પર વિચાર કરવા માટે થોડા દિવસો છે. હવે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે અમારી બધી ઉર્જા વ્હાઈટ બોલની ટીમ પર કેન્દ્રિત છે. અમે છેલ્લા કેટલાક વર્ષોથી વ્હાઈટ બોલની ક્રિકેટમાં સારું રમી રહ્યા છીએ."
ફોર્મેટમાં ફેરફાર ઊર્જા લાવશે
તેણે કહ્યું, "રંગીન જર્સી અને બોલનો રંગ બદલવાથી એક અલગ ઉર્જા આવે છે, પરંતુ સાઉથ આફ્રિકા ફોર્મમાં છે અને આત્મવિશ્વાસુ ટીમ હંમેશા ખતરનાક હોય છે. અમારે આગામી એક કે બે અઠવાડિયામાં મજબૂત શરૂઆત કરવાની અને છેલ્લા બે અઠવાડિયાને પાછળ રાખવાની જરૂર છે." 2026 T20 વર્લ્ડ કપ માટેની તૈયારીઓ અંગે, મોર્કલે સ્પષ્ટતા કરી કે આ ODI સિરીઝ ફક્ત વર્લ્ડ કપ માટે વોર્મઅપ નથી. મોર્કેલે કહ્યું કે T20 વર્લ્ડ કપની તૈયારીઓ તેની જગ્યાએ છે, પરંતુ જ્યારે પણ ખેલાડીઓ ભારતીય જર્સી પહેરે છે, ત્યારે તેઓ લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.
વિરાટ અને રોહિત હવે ફક્ત ODIમાં રમે છે
ગયા વર્ષે, રોહિતની કેપ્ટનશિપ હેઠળ, ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી બંને ખેલાડીઓએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ આ વર્ષે મે મહિનામાં રોહિત અને વિરાટ બંનેએ IPL દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ નિર્ણય ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા લેવામાં આવ્યો હતો. હવે બંને ખેલાડીઓ ફક્ત ODIમાં જ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.

