IND vs AUS / ત્રીજી ODIમાં કેમ નથી રમી રહ્યો નીતિશ કુમાર રેડ્ડી? BCCI એ આપ્યું મોટું અપડેટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની આજે ત્રીજી અને છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાઈ રહીછે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ ટોસ સાથે ભારતીય ટીમ માટે વધુ એક નિરાશાજનક આંકડો જોડાય ગયો છે. ભારતે આ સતત 18મી વખત ODIમાં ટોસ હાર્યો છે, જેની શરૂઆત વર્લ્ડ કપ 2023ની ફાઈનલથી થઈ હતી.
ભારતીય ટીમમાં બે મોટા ફેરફારો
આ મેચ માટે ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે અર્શદીપ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડીને બહાર કરવામાં આવ્યા છે. પ્લેઈંગ ઈલેવનમાંથી નીતિશ રેડ્ડીને બહાર કરવાનું કારણ પણ સામે આવ્યું છે. રેડ્ડીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવાનું કારણ ખરાબ ફોર્મ નહીં, પરંતુ ઈજા છે. BCCI એ આ વિશે માહિતી આપી છે.
BCCI એ અપડેટ આપ્યું
સિડની ODIમાં ટોસ બાદ, BCCI એ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે એડિલેડમાં બીજી ODI દરમિયાન નીતિશ રેડ્ડીને ડાબા ક્વાડ્રિસેપ્સમાં ઈજા થઈ હતી. પરિણામે, તે ODI માટે ઉપલબ્ધ નથી. BCCI મેડિકલ ટીમ સતત તેની સ્થિતિ પર નજર રાખી રહી છે.
નીતિશ રેડ્ડીની ઈજા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર નથી, કારણ કે ODI સિરીઝ પછી, ભારતીય ખેલાડીઓ T20I સિરીઝમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. આ સિરીઝ માટે નીતિશ રેડ્ડીને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે, એ જોવાનું બાકી છે કે નીતિશ રેડ્ડી ક્યારે ફિટ થશે અને ભારતીય ટીમમાં ક્યારે પાછો ફરશે. પાંચ મેચની T20I સિરીઝ 29 ઓક્ટોબરથી શરૂ થશે, જેની છેલ્લી મેચ 8 નવેમ્બરે રમાશે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઓસ્ટ્રેલિયા: મિચેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મેથ્યુ શોર્ટ, મેટ રેનશો, એલેક્સ કેરી (વિકેટકીપર), કૂપર કોનોલી, મિચેલ ઓવેન, નાથન એલિસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

