IND vs WI / શું મોહમ્મદ શમીની ટેસ્ટ કારકિર્દી ખતમ? વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝમાંથી કેમ ગાયબ થયું નામ?

વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જોકે, મોહમ્મદ શમીને ફરી એકવાર ટીમમાં સ્થાન નથી મળ્યું. એવું માનવામાં આવે છે કે તે હવે ભારતીય ટેસ્ટ ટીમમાંથી લગભગ બહાર થઈ ગયો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2 ટેસ્ટ રમવા માટે ભારત આવી ગઈ છે. આ સિરીઝની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરે રાજધાની દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે.
35 વર્ષીય મોહમ્મદ શમી છેલ્લે જૂન 2023માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યો હતો. આ ફાસ્ટ બોલરે 64 ટેસ્ટ મેચમાં 229 વિકેટ લીધી છે. તે WTC ફાઈનલ પછી, તે ભારતીય ટીમના ફાસ્ટ બોલિંગ એટેકમાં કાતમી સ્થાન મેળવવામાં સતત નિષ્ફળ રહ્યો છે.
ઈંગ્લેન્ડ પ્રવાસમાં મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને જસપ્રીત બુમરાહ મુખ્ય ફાસ્ટ બોલર હતા. આ પ્રવાસમાં અર્શદીપ સિંહ પણ ગયો હતો, જ્યારે અંશુલ કંબોજને પણ ડેબ્યુ કરવાની તક મળી હતી. હર્ષિત રાણા બેકઅપ ખેલાડી તરીકે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયો હતો. તેથી, ભારત પાસે યુવા ફાસ્ટ બોલર્સનો એક તૈયાર પૂલ છે. શમી અત્યારે 35 વર્ષનો છે, તેથી વર્તમાન WTC સાયકલ (2025-27) ના અંત સુધીમાં, તે 37 વર્ષનો થશે. વધુમાં, ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં શમીનું તાજેતરનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી નથી રહ્યું.
શમીએ 2023 ODI વર્લ્ડ કપમાં ધમાલ મચાવી હતી, તેણે ટુર્નામેન્ટમાં 7 મેચમાં 24 વિકેટ લીધી હતી. જોકે, ફેબ્રુઆરી 2024માં તેની પગની ઘૂંટીની સર્જરી થઈ હતી. આ પછી, તે લાંબા સમય સુધી ભારતીય ટીમમાંથી ગેરહાજર રહ્યો હતો. જ્યારે તે સ્વસ્થ થયો, ત્યારે તેને ટેસ્ટ મેચ રમવાની તક નહતી મળી. જોકે, તે છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે ODIમાં રમતા જોવા મળ્યો હતો.
અગકરે જણાવ્યું કે શમીની પસંદગી કેમ ન થઈ
શમીની વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ માટે પસંદગી કેમ ન થઈ, તેના પર સિલેકશન કમિટીના અધ્યક્ષ અજિત અગરકરે જણાવ્યું કે, શમી અંગે કોઈ નવી માહિતી નથી. જોકે, તેણે તાજેતરમાં વધારે ક્રિકેટ રમ્યું નથી અને તેને વધુ મેચ રમવાની જરૂર છે.
કયા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા?
કરુણ નાયરને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે, જ્યારે દેવદત્ત પડિક્કલ અને એન. જગદીસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિલેક્ટર્સ દ્વારા સરફરાઝ ખાન અને માનવ સુથારને અવગણવામાં આવ્યા હતા. આ સિરીઝ માટે રવિન્દ્ર જાડેજાને વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. રિષભ પંતની ઈજાને કારણે જાડેજાને વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર એક પણ ટેસ્ટ ન રમનાર અભિમન્યુ ઈશ્વરનને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. આ સિવાય ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમમાં સામેલ શાર્દુલ ઠાકુર, આકાશ દિપ અને અર્શદિપ સિંહને પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, એન જગદીસન.

