કોણ છે ક્રિકેટના ભગવાન સચિનની ભાવિ પુત્રવધૂ સાનિયા ચંડોક? અર્જુન તેંડુલકરની મંગેતરનો ઉદ્યોગપતિ પરિવારથી છે ખાસ નાતો

'ક્રિકેટના ભગવાન' સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ ગઈ છે. અર્જુન તેંડુલકરની મંગેતર સાનિયા ચંડોક મુંબઈના એક મોટા અને સમૃદ્ધ બિઝનેસ પરિવારમાંથી આવે છે. ખાસ વાત એ છે કે સાનિયાનું અર્જુન તેંડુલકરની બહેન સારા તેંડુલકર સાથે પણ ખાસ બોન્ડિંગ છે.
27 વર્ષીય સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. સારાનું સાનિયા ચંડોક સાથે ખૂબ જ ગાઢ બોન્ડિંગ છે. તેણે ઘણી વખત ઇન્સ્ટાગ્રામ પર સાનિયા સાથેના તેના ફોટા અને રીલ્સ શેર કર્યા છે. માર્ચમાં જયપુરમાં યોજાયેલા લગ્નના ફોટા સાનિયા અને સારાના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. જે હવે ફરીથી વાયરલ થઈ રહ્યા છે.
સાનિયા ચંડોકનો પરિવાર શું કરે છે?
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની મંગેતર સાનિયા ચંડોક, રવિ ઘાઈની પૌત્રી છે. અર્જુન અને સાનિયાની સગાઈ એક ખાનગી સમારોહમાં થઈ હતી. બંને પરિવારના નજીકના સભ્યો અને મિત્રોએ સગાઈમાં હાજરી આપી હતી. ઘાઈ પરિવાર મુંબઈનો એક મોટો અને પ્રખ્યાત બિઝનેસ પરિવાર છે. તેઓ ઇન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઇવ હોટેલ અને બ્રુકલિન ક્રીમરી (ઓછી કેલરીવાળી આઈસ્ક્રીમ બ્રાન્ડ)ના માલિક છે.
સાનિયા ચંડોક શું કરે છે?
સરકારી રેકોર્ડ (કોર્પોરેટ બાબતોના મંત્રાલય) અનુસાર, સાનિયા ચંડોક મુંબઈના Mr. Paws Pet Spa & Store LLPમાં ભાગીદાર અને ડિરેક્ટર છે. મુંબઈના સૌથી મોટા બિઝનેસ હાઉસમાંથી એક રવિ ઇકબાલ ઘાઈ ગ્રેવિસ હોસ્પિટાલિટી લિમિટેડના ચેરમેન છે. આ એક પારિવારિક વ્યવસાય છે જે હોટેલ અને આઈસ્ક્રીમ ઉદ્યોગમાં ઊંડા મૂળ ધરાવે છે. રવિ ઘાઈ ઇકબાલ કૃષ્ણ 'આઈ.કે.' ઘાઈના પુત્ર છે, જેમણે મુંબઈમાં મરીન ડ્રાઇવ પર પ્રખ્યાત ક્વોલિટી આઈસ્ક્રીમ બ્રાન્ડ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ શરૂ કરી હતી.
રવિ ઘાઈએ તેમના પિતાના વારસાને આગળ ધપાવ્યો અને ભારત તેમજ મધ્ય પૂર્વમાં વ્યવસાયનો વિસ્તાર કર્યો. તેમણે ત્યાં આઈસ્ક્રીમ ઉત્પાદન એકમો ખોલ્યા અને નિકાસમાં વધારો કર્યો. તેમના નેતૃત્વ હેઠળ, ગ્રેવિસ હોસ્પિટાલિટીએ તેના વ્યવસાયમાં વિવિધતા લાવી. કંપની હજુ પણ ઇન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઇવ હોટેલ ચલાવે છે અને નવા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે. આમાંથી એક ધ બ્રુકલિન ક્રીમરી છે, જે તેમના પૌત્ર શિવન ઘાઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ બ્રાન્ડ તેના આરોગ્ય પર (Health-Focused) ધ્યાન કેન્દ્રિત કરનાર આઈસ્ક્રીમ માટે પ્રખ્યાત છે.
અર્જુન તેંડુલકર કોણ છે?
સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને ફરી એકવાર IPL 2025 માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં 30 લાખ રૂપિયાની કિંમતે સામેલ કરવામાં આવ્યો હતો. 25 વર્ષીય અર્જુને 2021માં મુંબઈ ટીમ માટે T20 ડેબ્યૂ કર્યું હતું. તેણે 2022માં ગોવા માટે ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ A ડેબ્યૂ કર્યું હતું. તેને 2023ની સીઝનમાં IPLમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. અત્યાર સુધી તેણે IPLની કુલ 5 મેચમાં 3 વિકેટ લીધી છે, અને 13 રન બનાવ્યા છે. અર્જુનને IPLની 2024ની સીઝનમાં પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ફક્ત એક જ મેચ રમવાનો મોકો મળ્યો હતો.

