વરુણ ચક્રવર્તી ફરી એકવાર ઈજાના કારણે ટીમ ઈન્ડિયાથી બહાર! એશિયન ગેમ્સ 2026માંથી સત્તાવાર રીતે પત્તું કપાયું

ભારતીય ક્રિકેટ ટીમના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની કારકિર્દીમાં ઉતાર-ચઢાવનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વર્ષોની સખત મહેનત બાદ ટીમ ઇન્ડિયામાં વાપસી કરવામાં સફળ રહેલા વરુણ ચક્રવર્તી માટે ઈજા ફરી એકવાર મોટો અવરોધ બનીને સામે આવી છે. બે મહિના લાંબી ઈજામાંથી સાજા થઈને પરત ફર્યા બાદ તેણે અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. કમનસીબે, આ એક જ મેચ રમ્યા બાદ તેને સાઇડ સ્ટ્રેઇનની સમસ્યા થઈ ગઈ, જેના કારણે તે ફરીથી ટીમમાંથી બહાર થઈ ગયો છે. હવે તે આગામી એશિયન ગેમ્સ 2026માંથી પણ સત્તાવાર રીતે બહાર થઈ ગયો હોવાના મોટા સમાચાર સામે આવ્યા છે.
BCCI સૂત્રનો ખુલાસો: 22 વર્ષીય વિપરાજ નિગમને મળશે તક
નામ ન આપવાની શરતે BCCIના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું કે, 22 વર્ષીય યુવા લેગ-સ્પિન ઓલરાઉન્ડર વિપરાજ નિગમ ભારતીય એશિયન ગેમ્સ ટીમમાં વરુણ ચક્રવર્તીનું સ્થાન લેશે. વરુણ ચક્રવર્તી આ મહત્ત્વપૂર્ણ કોન્ટિનેન્ટલ ઇવેન્ટમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ચૂક્યો છે. જાપાનના આઈચી-નાગોયા ખાતે 19 સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સ્થાન માટે કુલદીપ યાદવનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ તે વેસ્ટ ઇન્ડીઝ સામેની આગામી વનડે શ્રેણી રમવાનો હોવાથી તેના નામ પર વિચારણા કરવામાં આવી નથી. વરુણ ચક્રવર્તીને સાઇડ સ્ટ્રેઇનની ગંભીરતા તપાસવા માટે બેંગલુરુ સ્થિત 'BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ' ખાતે વધુ તબીબી તપાસ માટે મોકલી દેવાયો છે અને તેને મેદાન પર પરત ફરવામાં હજુ વધુ સમય લાગશે. રિપ્લેસમેન્ટ તરીકે વિપરાજ નિગમના નામની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
કોણ છે વિપરાજ નિગમ? IPLના 2 સીઝનનો અનુભવ
યુવા ખેલાડી વિપરાજ નિગમ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને પોતાનું કૌશલ્ય સાબિત કરવાની આ ગોલ્ડન તક સાબિત થશે. વિપરાજ નિગમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમે છે. તેણે આઈપીએલમાં અત્યાર સુધી કુલ 2 સીઝન રમી છે, જેમાં તેણે 19 મેચોમાં 13 વિકેટ ઝડપી છે. તે માત્ર ઉપયોગી લેગ-સ્પિન બોલિંગ જ નહીં, પરંતુ લોઅર ઓર્ડરમાં આક્રમક બેટિંગ કરવાની ક્ષમતા માટે પણ જાણીતો છે.
24 સપ્ટેમ્બરે ભારતનો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો
ભારતીય ટીમ આગામી 22 સપ્ટેમ્બરના રોજ યજમાન જાપાન સામે મેદાનમાં ઉતરશે, જોકે આ મેચ એશિયન ગેમ્સની મુખ્ય સ્પર્ધા અંતર્ગત નહીં હોય. ભારતીય ટીમ પોતાના મુખ્ય એશિયન ગેમ્સ અભિયાનની શરૂઆત સીધી 24 સપ્ટેમ્બરના રોજ ક્વાર્ટર ફાઇનલ મુકાબલાથી કરશે.

