VIDEO: IPLમાં તોફાની બેટિંગ કરનાર વૈભવ સૂર્યવંશીનું બેટ ટ્રાઈ-નેશન સિરીઝમાં ન ચાલ્યું, ત્રણ મેચમાં માત્ર આટલા જ રન બનાવ્યા
IPL 2026માં પોતાના ધમાકેદાર પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવનારા અને તાજેતરમાં જ ભારતની T20 ટીમમાં સ્થાન મેળવનારા યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી હાલમાં શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાઈ-નેશન ODI સિરીઝમાં ઈન્ડિયા A ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. જોકે, IPL દરમિયાન જોવા મળેલી તેની પ્રચંડ આક્રમકતા અને સતત મોટા શોટ્સ ફટકારવાની ક્ષમતાની સરખામણીએ આ સિરીઝમાં તેનું પ્રદર્શન અત્યાર સુધી ખાસ અસરકારક નથી રહ્યું.
માત્ર 15 વર્ષની નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનેલા વૈભવ સૂર્યવંશીએ આ સિરીઝની ત્રણ ઈનિંગ્સમાં કુલ 79 રન જ બનાવ્યા છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, IPLમાં સિક્સર કિંગ તરીકે ઉભરી આવેલા વૈભવ આ ટ્રાઈ-નેશન સિરીઝમાં અત્યાર સુધી માત્ર એક જ છગ્ગો મારી શક્યો છે.
ત્રણ મેચમાં માત્ર 79 રન: મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળતા
ઈન્ડિયા A, શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A વચ્ચે રમાઈ રહેલી આ ODI સિરીઝમાં વૈભવે અત્યાર સુધી ત્રણ ઈનિંગ્સ રમી છે. પ્રથમ મેચમાં શ્રીલંકા A સામે તે માત્ર 14 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ અફઘાનિસ્તાન A સામે તેણે 44 રનની થોડી પ્રતિકારક ઈનિંગ રમી હતી, જ્યારે ફરી એકવાર શ્રીલંકા A સામે રમાયેલી મેચમાં તે 21 રન બનાવીને પવેલિયન પરત ફર્યો હતો. આમ, ત્રણ ઈનિંગમાં તેના નામે કુલ 79 રન નોંધાયા છે.
ક્રિકેટ નિષ્ણાતોના મતે, ODI ક્રિકેટની માંગ અને મિજાજ T20 ફોર્મેટ કરતાં તદ્દન અલગ હોય છે અને આ જ તફાવત વૈભવની બેટિંગમાં પણ સ્પષ્ટ જોવા મળ્યો છે. સિરીઝ દરમિયાન તે મોટાભાગે ગ્રાઉન્ડ શોટ્સ રમતો જોવા મળ્યો છે, પરંતુ નબળી બાબત એ રહી કે તે જ્યારે પણ આઉટ થયો છે ત્યારે મોટો શોટ રમવાની લાલચમાં જ તેણે પોતાની વિકેટ ગુમાવી છે.
રન ઓછા પણ આક્રમકતા યથાવત્: સ્ટ્રાઈક રેટ હજુ પણ શાનદાર
જોકે રનની દૃષ્ટિએ વૈભવનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે, તેમ છતાં તેની સ્ટ્રાઈક રેટ હજુ પણ ખૂબ જ પ્રભાવશાળી અને આક્રમક જોવા મળી છે. સિરીઝની એક મેચમાં તેનો સ્ટ્રાઈક રેટ 200 રહ્યો હતો, બીજી મેચમાં 150 અને જ્યારે તે 14 રન બનાવી આઉટ થયો તે મેચમાં પણ તેનો સ્ટ્રાઈક રેટ 116થી વધુનો હતો. આ આંકડા દર્શાવે છે કે તેની નેચરલ ગેમ અને આક્રમકતા હજુ પણ યથાવત્ છે, પરંતુ તે પોતાની શરૂઆતને મોટી ઈનિંગ્સમાં બદલવામાં નિષ્ફળ રહ્યો છે.
વૈભવ પાસે હજુ પણ આ સિરીઝમાં પોતાનું પ્રદર્શન સુધારવાની સુવર્ણ તક છે. જો ઈન્ડિયા A ટીમ ટ્રાઈ-નેશન સિરીઝની ફાઈનલમાં પહોંચશે તો તેને વધુ એક મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમવાની તક મળશે. આ સિરીઝ પૂરી થયા બાદ તે ભારતીય ટીમ સાથે આયર્લેન્ડ પ્રવાસે જશે, જ્યાં ભારત બે T20 મેચોની દ્વિપક્ષીય સિરીઝ રમવાનું છે.
શ્રીલંકા A સામે ફરી એકવાર નિરાશા
સોમવારે રમાયેલી રોમાંચક મેચમાં પણ વૈભવ સૂર્યવંશી માત્ર 21 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં ઈન્ડિયા A ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટીમે 29ના સ્કોરે વૈભવના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ફોર્મમાં ચાલી રહેલો પ્રભસિમરન સિંહ પણ 39ના કુલ સ્કોરે પવેલિયન પરત ફર્યો હતો.
ત્યારબાદ મિડલ ઓર્ડરના બેટ્સમેનો જેવા કે તિલક વર્મા અને રુતુરાજ ગાયકવાડ પણ કોઈ મોટી ઈનિંગ્સ રમી નહતા શક્યા અને સસ્તામાં આઉટ થયા હતા. જોકે, મુશ્કેલ સમયમાં સૂર્યાંશ શેડગે અને વિપરાજ નિગમે ભારતીય ઈનિંગ્સને ધૈર્યપૂર્વક સંભાળી હતી. શેડગેએ શાનદાર બેટિંગ કરતા પોતાની પ્રથમ લિસ્ટ-A અર્ધસદી ફટકારી હતી અને ટીમના સ્કોરને 200 રનની પાર પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
IPLમાં મળેલી ભવ્ય સફળતા અને ભારતીય ટીમમાં પસંદગી થયા બાદ વૈભવ સૂર્યવંશી પાસેથી ક્રિકેટ ફેન્સને ઘણી મોટી અપેક્ષાઓ છે, પરંતુ અત્યાર સુધી આ સિરીઝમાં તે પોતાની ખાસ છાપ નથી છોડી શક્યો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આગામી મેચોમાં તે ફરી પોતાના જુના વિસ્ફોટક અંદાજમાં વાપસી કરી શકે છે કે નહીં.

