IND vs SA / અભિષેક, હાર્દિક કે તિલક નહીં, સાઉથ આફ્રિકા સામે આ સ્ટાર ખેલાડી બન્યો 'પ્લેયર ઓફ ધ સિરીઝ'

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી નિર્ણાયક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 30 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતીય ટીમે સિરીઝ 3-1થી જીતી લીધી. આ ફોર્મેટમાં ભારતની આ સતત આઠમી સિરીઝ જીત છે. ઓગસ્ટ 2023 પછી ભારત એકપણ T20 સિરીઝ/ટુર્નામેન્ટ નથી હાર્યું. હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ સાઉથ આફ્રિકા સામે ભારતની સિરીઝ જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, પરંતુ તેમને કે અભિષેક શર્માને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' નો એવોર્ડ નથી મળ્યો.
'પ્લેયર ઓફ ધ સિરીઝ' કોને જાહેર કરવામાં આવ્યો?
તિલક વર્મા સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેણે ચાર મેચમાં 186 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે 2 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મેળવ્યા હતા. અભિષેક શર્માએ વધુ રન ન બનાવ્યા હોવા છતાં, ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. જોકે, આ બધાની જગ્યાએ વરુણ ચક્રવર્તીને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો, કારણ કે તેણે દરેક મેચમાં શાનદાર બોલિંગ કરી હતી.
વરુણનું પ્રદર્શન કેવું રહ્યું?
વરુણ ચક્રવર્તીએ 4 મેચમાં કુલ 10 વિકેટ લીધી. 15 ઓવરમાં તેની એવરેજ લગભગ 11ની હતી. અમદાવાદમાં રમાયેલી છેલ્લી મેચમાં વરુણ ચક્રવર્તીએ 4 બેટ્સમેનોને આઉટ કર્યાં હતા. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે, તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. વરુણ પછી બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર સાઉથ આફ્રિકાનો લુંગી એનગીડી હતો, જેણે 6 વિકેટ લીધી હતી.
વરુણ ચક્રવર્તીએ ખુશી વ્યક્ત કરી
પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે જાહેર થયા બાદ વરુણ ચક્રવર્તીએ કહ્યું, "તે એક ખૂબ જ હાઈ ઈન્ટેસિટી મેચ હતી અને કદાચ આખી સિરીઝની શ્રેષ્ઠ મેચ હતી. મને તે રમવાની ખરેખર મજા આવી. મને જે ભૂમિકા સોંપવામાં આવી છે, તેમાં મારી પ્રાથમિકતા હંમેશા વિકેટ લેવાની હોય છે. તેથી, જ્યારે પણ મને બોલ મળે છે, ત્યારે મારી માનસિકતા આક્રમક બનવાની અને પ્રભાવ પાડવાની હોય છે."

