Asia Cup 2025 / ફાઈનલ જીત્યા બાદ ટ્રોફી ન મળવા પર કેપ્ટન સૂર્યાએ આપ્યું નિવેદન, કહ્યું- 'મારી સાથે બધા ખેલાડીઓ...'

એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડ્યા બાદ ભારતીય ટીમે ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું જ્યારે કોઈ ચેમ્પિયન ટીમને ટ્રોફીન મળી હોય. આ બધુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષના અહંકારના કારણે થયું. જોકે, ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટ્રોફીની કોઈ ચિંતા નથી. તેણે કહ્યું છે કે, "અસલ ટ્રોફી તો મારી ટીમ છે, મેં આવું ક્યારેય નથી જોયું."
જાણો શું છે વિવાદ
બે અઠવાડિયામાં ત્રીજી વખત પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીત્યા બાદ સૂર્યકુમાર અને તેની ટીમે ACCના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઈનકાર કર્યો હતો, જે PCBના વડા પણ છે અને વધુ મહત્ત્વનું એ છે કે, તેમના દેશના ગૃહમંત્રી છે, જે ભારત વિરોધી વલણ માટે જાણીતા છે. ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી ન હોવાથી, રવિવારે રાત્રે ઈનામ વિતરણ સમારોહ સમાપ્ત થયા બાદ નકવી સ્ટેજ છોડીને ટ્રોફી પોતાની સાથે લઈ ગયા.
મેચ બાદ સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું હતું કે, "કોન્ટિનેન્ટલ ટુર્નામેન્ટમાં સાત મેચ જીત્યા પછી સૌથી મોટું ઈનામ એટલે કે ટ્રોફી ન મળતાં કેવું લાગ્યું?" જવાબમાં તેમણે કહ્યું કે, "મને લાગે છે કે જ્યારથી મેં ક્રિકેટ રમવાનું અને તેનું અનુસરણ કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી મેં ક્યારેય કોઈ ચેમ્પિયન ટીમને ટ્રોફીથી વંચિત નથી જોઈ. મારો મતલબ મહેનતથી કમાયેલી ટ્રોફી. એવું નથી કે તે સરળતાથી મળી ગયું. તે ટુર્નામેન્ટમાં મહેનતથી કમાયેલી જીત હતી."
ફાઈનલ ટ્રોફી અંગે સૂર્યકુમાર યાદવે કહ્યું, "જો તમે મને ટ્રોફી વિશે પૂછો છો, તો મારી ટ્રોફી મારા ડ્રેસિંગ રૂમમાં છે. મારી સાથે બધા 14 ખેલાડીઓ છે. આખો સપોર્ટ સ્ટાફ. આ અસલી ટ્રોફી છે. આ વાસ્તવિક ક્ષણો છે જે હું મારી સાથે પ્રિય યાદો તરીકે લઈ રહ્યો છું જે હંમેશા મારી સાથે રહેશે. બસ એટલું જ."

