IND vs PAK Final / પાકિસ્તાન સહન ન કરી શક્યું ભારતની જીત, ટ્રોફી અને મેડલ લઈને ભાગી ગયા મોહસીન નકવી

28 સપ્ટેમ્બર, 2025, ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં ખૂબ જ ખાસ તારીખ બની ગઈ, જ્યારે રિંકુ સિંહે વિનિંગ શોટ ફટકારીને ભારતને પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત અપાવી અને ટીમ ઈન્ડિયાએ રેકોર્ડ નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો. પરંતુ મેચ પછી જે દૃશ્ય સામે આવ્યું તેનાથી આખી દુનિયા ચોંકી ગઈ. ટ્રોફી જીતવા છતાં, ટીમ ઈન્ડિયાને તેની સાથે ઉજવણી કરવાની તક ન મળી.
મધ્યરાત્રિ સુધી પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સેરેમની શરૂ નહતી થઈ. આ વિલંબ અંગે વિવિધ અહેવાલો સામે આવ્યા. કેટલાક લોકોએ કહ્યું કે ભારતીય ખેલાડીઓ ACC (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) ના પ્રમુખ મોહસીન નકવી પાસેથી ટ્રોફી નહતા સ્વીકારવા માંગતા, જ્યારે કેટલાક લોકોએ તેનું કારણ પાકિસ્તાન ટીમને જણાવ્યું.
વધુમાં, BCCI સચિવ દેવજીત સૈકિયાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસીન નકવી ટીમ ઇન્ડિયા પાસેથી ટ્રોફી અને વ્યક્તિગતના મેડલ લઈને જતા રહ્યા હતા.
BCCI એ પાકિસ્તાન પર ટ્રોફી અને મેડલ ચોરી કરવાનો આરોપ લગાવ્યો
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ સમાચાર એજન્સી PTI સાથે વાત કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયા નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો હતો. કારણ કે તે પાકિસ્તાનના અગ્રણી નેતાઓમાંના એક છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ ટ્રોફી અને મેડલ લઈને જતા રહે.
PCB અધ્યક્ષ પર ટ્રોફી લઈને ભાગી જવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું, "અમે ACC ચેરમેન પાસેથી ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ ટ્રોફી અને મેડલ લઈને જતા રહે. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને રમતની ભાવના વિરુદ્ધ છે. અમને આશા છે કે ટ્રોફી અને મેડલ ટૂંક સમયમાં ભારત પરત કરવામાં આવશે. અમે નવેમ્બરમાં ICC કોન્ફરન્સમાં આ મુદ્દો ઉઠાવીશું."
સૈકિયાએ એમ પણ ઉમેર્યું હતું કે BCCI સમગ્ર મામલા અંગે ઔપચારિક વિરોધ નોંધાવશે. ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં ત્રીજી વખત પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો, પરંતુ મેચ પછીના વિવાદે ભારતીય ક્રિકેટ ફેન્સની ઉજવણીના ઉત્સાહને ઠંડો કરી દીધો.

