Asia Cup માટે ટીમમાં સ્થાન ન મળતા શ્રેયસ અય્યરના પિતાનું દર્દ છલકાયું, કહ્યું- 'મને સમજાતું નથી તેણે હજુ...'

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. જેમાં કેટલાક ખેલાડીઓને સ્થાન ન મળતા ફેન્સ દુઃખી થયા છે. ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને પણ ટીમમાં સ્થાન નથી મળ્યું જે બાદ તેના પિતાનું દર્દ છલકાયું છે. ગુરુવારે સંતોષ અય્યરે પોતાના પુત્ર શ્રેયસને એશિયા કપ 2025 ટીમમાં સ્થાન ન મળવા પર નિરાશા વ્યક્ત કરી અને તેને 'દુઃખદ' અને 'અન્યાયી' ગણાવ્યું. તેમણે એ પણ જણાવ્યું કે તેમના પુત્ર શ્રેયસે આ નિર્ણય પર કેવી પ્રતિક્રિયા આપી હતી.
શ્રેયસ અય્યરની ટીમમાં પસંદગી ન થવા પર પિતાની પ્રતિક્રિયા
2024 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને IPL ટાઈટલ અપાવનાર અને 2025માં પંજાબ કિંગ્સ (PBKS) ને ફાઈનલમાં પહોંચાડનાર શ્રેયસ અય્યરને એશિયા કપ માટે ભારતીય ટીમમાં સ્થાન નથી મળ્યું. તેને બહાર કરવાના નિર્ણય પર સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ દરમિયાન, હવે તેના પિતા સંતોષે પણ નિરાશા વ્યક્ત કરી છે.
શ્રેયસના પિતા સંતોષે કહ્યું, "મને સમજાતું નથી કે શ્રેયસને ભારતીય T20 ટીમમાં સામેલ થવા માટે હજુ શું કરવું પડશે." તેમણે વધુમાં કહ્યું, "તે દર વર્ષે IPLમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સથી લઈને KKR અને PBKS સુધી. તેણે કેપ્ટન તરીકે પણ ટીમનું નેતૃત્વ કર્યું છે. 2024માં, તેણે KKR માટે IPL ટાઈટલ જીત્યું અને 2025માં, તેણે PBKSને ફાઈનલમાં પહોંચાડ્યું. હું એમ નથી કહેતો કે તેને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવો જોઈએ, પરંતુ ઓછામાં ઓછું તેને ટીમમાં સામેલ કરવો જોઈએ."
સંતોષ ઐયરે એમ પણ કહ્યું કે શ્રેયસ ક્યારેય ટીમમાંથી બહાર થવા પર અસંતોષ નથી દર્શાવતો. શ્રેયસના પિતાએ કહ્યું, "તે કહે છે, 'તે મારું ભાગ્ય છે, હવે કંઈ ન થઈ શકે.' તે હંમેશા શાંત રહે છે. તે ક્યારેય કોઈને દોષ નથી આપતો. અંદરથી, તે ચોક્કસપણે નિરાશ થશે, પરંતુ તે ક્યારેય બહારથી એવું અનુભવવા નથી દેતો."

