રોહિત શર્મા પદ્મશ્રીથી સન્માનિત, રાષ્ટ્રપતિ મુર્મુએ આપ્યો એવોર્ડ; પ્રથમ તબક્કામાં હાજર નહોતા રહ્યા 'હિટમેન'

ભારતના દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્માને મંગળવારે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપ્યો. પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત એ 65 લોકોમાં સામેલ હતા જેમને પદ્મ પુરસ્કારના બીજા તબક્કામાં સન્માનિત કરવામાં આવ્યા. હોકી સ્ટાર સવિતા પુનિયાને પણ પદ્મશ્રી મળ્યો. ટેનિસના દિગ્ગજ ખેલાડી વિજય અમૃતરાજને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.
રોહિત પ્રોફેશનલ અને પર્સનલ કમિટમેન્ટ્સના કારણે મે મહિનામાં પ્રથમ તબક્કાના સમારોહમાં હાજર રહી શક્યા નહોતા. રોહિત આજે (23 જૂન) તેમની પત્ની રીતિકા સજદેહ સાથે નવી દિલ્હીમાં હાજર હતા. જ્યારે રોહિત રાષ્ટ્રપતિ મુર્મુ પાસેથી સન્માન લેવા માટે સ્ટેજ પર ગયા, ત્યારે રીતિકાના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. એવોર્ડ લેતા પહેલા 'હિટમેન'એ નમીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું હતું. તેઓ બ્લેક સૂટ પહેરીને સમારોહમાં આવ્યા હતા અને સમગ્ર સમારોહ દરમિયાન તેમના ચહેરા પર સ્મિત રહ્યું હતું.
રોહિત ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે. તેમની આગેવાની હેઠળ ભારતે ટી20 વર્લ્ડ કપ 2024 અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી હતી. તેમણે ટેસ્ટ અને ટી20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે ભારત માટે માત્ર વનડે (ODI) ક્રિકેટ રમે છે.

