RCB એ 84 દિવસ પછી સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ, જણાવ્યું આટલા દિવસો સુધી મૌન રહેવાનું કારણ

આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ રજત પાટીદારની કેપ્ટનશીપમાં પહેલીવાર IPL 2025નો ખિતાબ જીત્યો હતો. ૩ જૂને RCB એ ટાઈટલ જીત્યું, જ્યારે 4 જૂને RCBની જીત માટે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેને જોવા માટે સ્ટેડિયમની બહાર હજારો લોકો એકઠા થયા.
આ દરમિયાન સ્ટેડિયમની બહાર ભાગદોડને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ RCB ફ્રેન્ચાઈઝી અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ પર પ્રશ્નો ઉભા થયા અને ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા. ત્યારથી RCB એ તેના કોઈપણ સોશિયલ મીડિયા હેન્ડલ પર કંઈપણ પોસ્ટ નહતું કર્યું. હવે 84 દિવસ પછી, RCB એ પોસ્ટ શેર કરી છે.
RCB એ મૌન રહેવાનું કારણ જણાવ્યું
સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા RCB એ લખ્યું, "ડીયર 12th મેન આર્મી, આ તમને અમારો હૃદયપૂર્વકનો પત્ર છે! આ મૌન ગેરહાજરી નહતી. તે શોક હતો. આ સ્થળ એક સમયે ઉર્જા, યાદો અને તમે સૌથી વધુ માણેલી ક્ષણોથી ભરેલું હતું. પરંતુ 4 જૂને બધું બદલી નાખ્યું"
પોસ્ટમાં આગળ લખ્યું છે, "તે દિવસ અમારું દિલ તોડ્યું છે, અને ત્યારથી આ મૌન અમારા માટે જગ્યા બનાવવાનો માર્ગ બની ગયું છે. તે મૌનમાં અમે શોક વ્યક્ત કરી રહ્યા છીએ. સાંભળી રહ્યા છીએ. શીખી રહ્યા છીએ અને ધીમે ધીમે, અમે ફક્ત પ્રતિક્રિયા કરતાં કંઈક વધુ બનાવવાનું શરૂ કર્યું છે. કંઈક એવું જેમાં અમે ખરેખર માનીએ છીએ. આ રીતે 'RCB CARES' આવ્યું. તેનો જન્મ અમારા ફેન્સનું સન્માન કરવાની, તેમને હિલ કરવાની અને તેમની સાથે ઊભા રહેવાની જરૂરિયાતમાંથી થયો હતો. અર્થપૂર્ણ કાર્યવાહી માટેનું એક પ્લેટફોર્મ, જે અમારા સમુદાય અને ફેન્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. અમે આજે આ જગ્યાએ પાછા આવ્યા છીએ, ઉજવણી કરવા માટે નહીં, પરંતુ કાળજી સાથે, શેર કરવા માટે, તમારી સાથે ઊભા રહેવા માટે. સાથે આગળ વધવા માટે. કર્ણાટકનું ગૌરવ બની રહેવા માટે."
બેંગલુરુમાં ભાગદોડમાં 11 લોકોના મોત
4 જૂને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા અને 56 લોકો ઘાયલ થયા હતા. આ પછી, RCB ફ્રેન્ચાઈઝીએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી અને ઘાયલોને મદદ કરવા માટે RCB CARES શરૂ કરી.

