"હું વનડે ક્રિકેટ રમવા માંગુ છું", ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ODI ટીમમાંથી જગ્યા ન મળવા પર રવિન્દ્ર જાડેજાએ આપી પ્રતિક્રિયા

ટીમ ઈન્ડિયાના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ODI ટીમમાંથી બહાર થવા પર પહેલી વખત પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે તે આ નિર્ણયથી આશ્ચર્યચકિત નથી કારણ કે ટીમ મેનેજમેન્ટે તેની સાથે પહેલાથી જ આ અંગે સ્પષ્ટ ચર્ચા કરી હતી. જાડેજાએ કહ્યું કે પસંદગી તેના હાથમાં નથી, પરંતુ જ્યારે પણ તેને તક મળશે, ત્યારે તે ટીમ માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. જોકે, તે ODI ક્રિકેટ રમવા માંગે છે.
જાડેજાએ શું કહ્યું?
જાડેજાએ કહ્યું, "હું હંમેશા ભારત માટે રમવા માંગુ છું, પરંતુ આખરે નિર્ણય ટીમ મેનેજમેન્ટ, કોચ, કેપ્ટન અને સિલેક્ટર્સનો છે. તેઓએ મારી સાથે પહેલાથી જ વાત કરી હતી, તેથી જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે મને આશ્ચર્ય નહતું થયું. તે સારું છે કે તેઓએ મને કારણ પણ જણાવ્યું."
તેણે આગળ કહ્યું, "જ્યારે પણ મને તક મળશે, ત્યારે હું તે જ કરીશ જે મેં હંમેશા કર્યું છે. જો હું વર્લ્ડ કપ પહેલા થોડી ODI મેચોમાં સારું પ્રદર્શન કરીશ, તો તે ટીમ માટે ફાયદાકારક રહેશે. વર્લ્ડ કપ જીતવો એ દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે, અને અમે આ વખતે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું.
ODI વર્લ્ડ કપમાં રમવાની ઈચ્છા
જાડેજા આ ડિસેમ્બર મહિનામાં 37 વર્ષનો થવાનો છે. ગયા વર્ષના વર્લ્ડ કપ પછી તેણે T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તેણે 2027ના ODI વર્લ્ડ કપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
BCCIના ચીફ સિલેક્ટર અજિત અગરકરે એમ પણ કહ્યું હતું કે જાડેજા હજુ પણ ટીમની યોજનામાં છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં ટીમ કોમ્બિનેશનને કારણે આ વખતે તેને આરામ આપવો પડ્યો છે. સિરીઝ માટે વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. 19 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી બંને ટીમ વચ્ચે ODI સિરીઝ રમાશે, જ્યારે 29 ઓક્ટોબરથી 8 નવેમ્બર દરમિયાન બંને ટીમો વચ્ચે પાંચ T20 મેચ રમાશે.

